સરકારી લોકપાલનો વિપક્ષો દ્વારા વિરોધ
ADVERTISEMENT
લાંબા સમયના વિવાદ પછી ગઈ કાલે કેન્દ્ર સરકારે આખરે લોકસભામાં વિવાદાસ્પદ લોકપાલ ખરડો (બિલ) રજૂ કરી દીધો હતો. આ ખરડાનો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવાનો છે. લોકસભામાં આ ભ્રષ્ટાચાર વિરોધી ખરડો નવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા બાદ એના પર સંક્ષિપ્ત ચર્ચા થઈ હતી અને હવે એના પર ૨૭ ડિસેમ્બરે ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ખરડા પર કાર્યવાહી કરવા માટે ૨૨ ડિસેમ્બરે પૂરા થતા સંસદના શિયાળુસત્રને નાતાલની રજાઓ પછી પણ ૨૭, ૨૮ અને ૨૯ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.
બંધારણના ૧૧૬મા સુધારા તરીકે ૬૪ પાનાંના આ ખરડાને સંસદની મંજૂરી મળી ગયા પછી એ કાયદો બનશે. કૉન્ગ્રેસનાં પ્રમુખ અને યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)નાં વડાં સોનિયા ગાંધીએ વિપક્ષને તથા જાહેર જનતાને સરકાર દ્વારા આ ખરડાને સ્વીકારવાની વિનંતી કરી છે, પણ મોટા ભાગના રાજકીય પક્ષોએ આ ખરડાનાં વિવિધ પાસાંઓ સામે વિરોધ વ્યક્ત કરતાં એનું ભવિષ્ય અત્યારે તો ડામાડોળ લાગી રહ્યું છે.
લઘુમતી ક્વોટા સામે વિરોધ
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ તથા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવે નવા ખરડા સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આને કારણે સ્થાનિક પોલીસ વધારે શક્તિશાળી બનશે. સરકારે આ ખરડામાં લોકપાલ બેન્ચના નવ સભ્યોની નિમણૂકમાં લઘુમતી ક્વોટાની જોગવાઈ રાખી છે અને મુખ્ય વિરોધપક્ષ બીજેપીએ આ લઘુમતી ક્વોટાની જોગવાઈ સામે વિરોધ કરીને એને ગેરબંધારણીય ગણાવી છે. બીજેપીએ માગણી કરી છે કે અમે આ ખરડાથી નિરાશ થયા છીએ અને સરકાર આ ખરડાને પાછો ખેંચી લઈને એને બદલે નવો સુધારેલો ખરડો રજૂ કરે.
પ્રણવ મુખરજીનો ઉત્તર
લોકસભાની આજની કાર્યવાહી પૂરી થયેલી જાહેર કરવામાં આવી એ પહેલાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ સરકાર વતી પ્રત્યુત્તર આપ્યો હતો કે ‘આ ખરડો ઉતાવળમાં પસાર કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. જ્યાં સુધી આ ખરડો ગેરબંધારણીય છે એવા આરોપનો સવાલ છે ત્યાં સુધી એટલી સ્પષ્ટતા કરવી યોગ્ય છે કે લોકપાલ ખરડો પાસ કરવો કે ફગાવી દેવો એનો નર્ણિય લેવાનો અધિકાર સંસદને છે, પણ કોઈ ખરડો ગેરબંધારણીય છે કે નહીં એ નક્કી કરવાનું ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રમાં છે, કોઈ રાજકીય પાર્ટીના અધિકાર ક્ષેત્રમાં નહીં.’
સોનિયાને અણ્ણાનું આહ્વાન
લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા લોકપાલ બિલને અણ્ણા હઝારેએ નબળું અને સાવ નકામું ગણાવ્યું હતું. તેમણે કૉન્ગ્રેસનાં પ્રમુખ અને યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)નાં વડાં સોનિયા ગાંધીને આ બિલના મુદ્દે તેમની સાથે જાહેર ચર્ચા કરવાનું આહ્વાન આપ્યું છે.આ લોકપાલ બિલમાં સીબીઆઇ અને નીચલા સ્તરની બ્યુરોક્રસી પર લોકપાલનો અંકુશ ન હોવાને કારણે ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવાનું કામ અશક્ય બની જશે, એવું અણ્ણાએ જણાવ્યું હતું.
ધર્મ આધારિત અનામત ન જોઈએ
સરકારના લોકપાલ ખરડા વિશે લોકસભામાં વિરોધપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે ‘સુપ્રીમ ર્કોટે અનેક વાર ચુકાદામાં જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની અનામતની જોગવાઈ ૫૦ ટકાથી વધુ ન હોવી જોઈએ અને એટલે જો સરકાર આ ખરડો પાછો ખેંચીને નવો બંધારણતરફી ખરડો રજૂ કરશે તો અમે એને ટેકો આપીશું.૦૦૨૦ખરડામાં ધર્મ આધારિત અનામતની જોગવાઈ સાથે બંધારણ સંમત નથી.’