કૉન્ગ્રેસ પ્રેસિડેન્ટના પદે સોનિયા ગાંધી યથાવત્
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)
તાજેતરમાં જ કૉન્ગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ નવા પ્રેસિડેન્ટની નિમણૂક કરવાની વાત કરી હતી. એવી વાતો છે કે સોનિયા ગાંધી પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે. સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે કૉન્ગ્રેસ અધ્યક્ષ રહેવા માગતી નથી. 2019માં લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા સોનિયા ગાંધીને વચગાળાની અધ્યક્ષ બનાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ મીડિયામાં અને સંસદમાં પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે કૉન્ગ્રેસના અધ્યક્ષ બનવા માગતા નથી. તેથી લોકોની નજર આજે 7 કલાક સુધી ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee) ઉપર હતી. જોકે આ મીટિંગમાં અંતે નિર્ણય લેવાયો કે હાલ સોનિયા ગાંધી જ પક્ષના પ્રેસિડેન્ટ રહેશે.
ઑનલાઈન મીટિંગની શરૂઆતમાં જ સોનિયા ગાંધીએ પક્ષ માટે નવા પ્રેસિડેન્ટની નિમણૂક માટે વિચાર-વિમર્શ કરવાની વાત કરી હતી. જોકે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ( Manmohan Singh) કહ્યું કે, જ્યાં સુધી ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી All India Congress Committee (AICC)ની મીટિંગમાં નવા પ્રેસિડેન્ટ માટેની પ્રક્રિયા થાય ત્યાં સુધી સોનિયા ગાંધીએ જ આ પદ સંભાળવું જોઈએ. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમ્ (P Chidambaram)એ પણ આ બાબતે સહમતિ દર્શાવી હતી. પરંતુ એક બાજુ સોનિયા ગાંધી પદ છોડવા માટે મક્કમ હતા. પરંતુ આખરે તેમણે પક્ષના પ્રેસિડેન્ટ પદની જવાબદારી સ્વિકારી હતી.