શિવસેનાને ટેકા વિશે આવતી કાલે સોનિયા-પવારની બેઠક
સોનિયા ગાંધી અને શરદ પવાર સાથે થશે મુલાકાત (PC : NaiDunia.com)
(મિડ-ડે પ્રતિનિધિ) બીજેપીએ સરકાર બનાવવાનો દાવો કરવાની ના પાડી દેતાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને ટેકો આપવા બાબતે આવતી કાલે કૉન્ગ્રેસ-એનસીપીના ટોચના નેતાઓની બેઠક પર બધો આધાર હોવાથી સૌની નજર એ બેઠક પર રહેશે. જયપુરમાં એક હોટેલમાં રખાયેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ શિવસેના સાથે સરકાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આથી આ બાબતે આખરી નિર્ણય તેમણે પક્ષના ટોચના નેતા સોનિયા ગાંધી પર છોડ્યો છે. આવી જ રીતે એનસીપીના વિધાનસભ્યો પણ બીજેપીને સત્તાથી દૂર રાખીને સરકાર બનાવવાના પક્ષમાં હોવાથી તેમણે પણ પાર્ટીના ચીફ શરદ પવાર પર નિર્ણય છોડ્યો છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આવતી કાલે શરદ પવાર સોનિયા ગાંધીને મળીને રાજ્યની સ્થિતિ વિશે અને વિધાનસભ્યોની સરકાર બનાવવા કે બહારથી ટેકો આપવાની ઈચ્છા વિશે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે. દરમ્યાન ગઈ કાલે શરદ પવારના મુંબઈના નિવાસસ્થાને પ્રફુલ પટેલ સહિત એનસીપીના વરિષ્ઠ નેતાઓએ લાંબી મુલાકાત કરી હતી. તેમની વચ્ચે શું ચર્ચા થઈ હતી એ જાણી શકાયું નથી, પરંતુ શરદ પવાર અને પક્ષના નેતાઓએ એકથી વધુ વખત કહ્યું છે કે બીજેપી અને શિવસેના સરકાર નહીં બનાવે તો આ બાબતે વિચાર કરવામાં આવશે.
આ પણ જુઓ : દરેક પ્રકારના આઉટફિટમાં સુંદર લાગે છે ઈશા અંબાણી, આ તસવીરો છે પુરાવો
એ સિવાય ખુદ શરદ પવારે કહ્યું હતું કે શિવસેના દ્વારા સરકાર બનાવવા બાબતનો કોઈ પ્રસ્તાવ તેમને અપાયો નથી. ઉપરાંત શિવસેના એનડીએમાંથી બહાર નીકળ્યા બાદ જ સરકાર બનાવવા વિશે ચર્ચા કરાશે.