ટીવી-ચૅનલની આંખો ખૂલે એ માટે પણ પગલાં લેવાનો સમય આવી ગયો છે
પ્રતીકાત્મક તસવીર
આ વાત માત્ર ન્યુઝ-ચૅનલને જ લાગુ પડે છે એવું નથી, ન્યુઝ-ચૅનલોની સાથોસાથ તમામ એન્ટરટેઇનમેન્ટ ચૅનલને પણ આ વાત લાગુ પડે છે અને એની આંખો ખૂલે એવાં પગલાં લેવાનો પણ સમય આવી ગયો છે. એન્ટરટેઇનમેન્ટના નામે જેકંઈ પીરસાઈ રહ્યું છે એ ખરેખર એટલું વાહિયાત અને ‘સી’ ગ્રેડનું છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. મનોરંજન માટે આપણી પાસે બીજું કોઈ માધ્યમ નથી, એનો અર્થ એવો નથી કે તમે કંઈ પણ લોકોની સમક્ષ મૂકતા રહો. આજે ડિજિટલ પ્લૅટફૉર્મનો વ્યાપ વધ્યો છે તો એની પાછળ માત્ર ને માત્ર લૉકડાઉન જ કારણભૂત નથી રહ્યું, એની પાછળ ટીવી-ચૅનલ પણ જવાબદાર રહી છે.
નાગ અને ભૂત અને વાહિયાત કિચન-પૉલિટિક્સ અને એવું બધું દેખાડીને શું પુરવાર કરવા માગે છે એ ટીવી-ચૅનલ પાસે જવાબ માગવો જોઈએ. કપોળકલ્પિત ઇતિહાસ દેખાડીને આ ટીવી-ચૅનલ શું કરવા માગે છે એ પ્રશ્ન પણ હવે પૂછવો જોઈએ અને સાથોસાથ એ પણ પૂછવું જોઈએ કે ભગવાનના ચમત્કાર દેખાડવા તત્પર રહેતી આ ટીવી-ચૅનલનો એ બધું દેખાડવા પાછળનો હેતુ શું છે અને શું કામ એ આ ચમત્કાર દેખાડવા માટે આટલી આતુર રહે છે? એક વખત જઈને જુઓ તમે આ ટીવી-ચૅનલમાં કામ કરતા ઑફિસરોના ઘરે પણ તેમની ચૅનલો નથી જોવાતી. એક વખત જઈને સાચે જ તપાસ કરજો તમે. અરે, આવી તપાસ ન થઈ શકે તો ચૅનલમાં કામ કરતા આ બની બેઠેલા ક્રીએટિવને પૂછજો તમે કે તમારો ફેવરિટ શો કયો અને શું કામ તમને એ શો ગમે? પોતાના શો સિવાય એક પણ શોનું નામ તે નહીં આપી શકે અને એનું પણ કારણ છે. તેમને પણ એ શો જોવાનું નથી ગમતું. તમને જે નથી ગમતું એ તમે બીજાને જોવા માટે કેવી રીતે ફરજ પાડી શકો? કેવી રીતે તમે તેના પર આવું વાહિયાત કહેવાય એવું કન્ટેન્ટ નાખી શકો? નાખી જ કેવી રીતે શકાય તમારાથી?
સાહેબ, આ પાપ છે અને આ પાપ પાછળ ક્યાંક ને ક્યાંક પેલાં ૩૦,૦૦૦ ટીઆરપી મશીન પણ જવાબદાર છે. સાચો સર્વે બહાર જ નથી આવતો અને સાચું દૃશ્ય જાણવા જ નથી મળતું. પછી બને છે એવું કે ઘરમાં રહીને મફતના ભાવે મનોરંજન મળે છે એટલે એ જોવાતું રહે છે અને સાથોસાથ ગાળો પણ ભંડાતી રહે છે. અગાઉ આ જ પ્લૅટફૉર્મ પરથી કહ્યું હતું કે આનો વિરોધ થવો જોઈએ અને એ વિરોધ કરવાની સાચી રીત પણ શોધવી જોઈએ. સોશ્યલ મીડિયા પેજ પર તમે આ ચૅનલ અને એના શોનો વિરોધ કરો, જેથી તમારી ભાવના અને લાગણી તેમના સુધી પહોંચે. જો વાત નહીં પહોંચાડો તો તેમનો ભ્રમ અકબંધ રહેશે અને ભ્રમ અકબંધ રહેશે તો પોતાના કુદરતી આવેગમાંથી જન્મેલી વિકૃતિ જેવા શોનો મારો પણ ચાલુ રહેશે. જો એ શો ન જોવા હોય તો તમારો વિરોધ પહોંચાડો, જેથી તમે તેમને તમારી લાગણી જણાવી શકો. અનિવાર્ય છે આ અને આ અનિવાર્યતાની સાથોસાથ એ પણ અનિવાર્ય છે કે સરકાર પણ આ ચૅનલો પર સ્પેસિફિક બંધનો મૂકવાનું કામ કરે. અન્યથા એક એવો વર્ગ ઊભો થશે જે વર્ગને મનોરંજનની સાચી વ્યાખ્યાની ખબર જ નહીં હોય.