સીસીટીવી કૅમેરામાં પકડાઈ ન જાય એટલે સ્માર્ટ ચોરે સ્ટ્રીટલાઇટ બંધ કરી
પ્રતીકાત્મક તસવીર
કાળાચૌકીના આંબેવાડીમાં આવેલી મંગલમ જ્વેલર્સમાં ત્રાટકીને ચોર ૨.૮૨ કરોડ રૂપિયાનાં ઘરેણાં ચોરી ગયા હતા, પણ એ સ્માર્ટ ચોરે દુકાનની બહાર લગાડેલા સીસીટીવી કૅમેરામાં જો ઝડપાઈ જવાય તો પણ ઓળખ ન થાય એ માટે ત્યાં અંધારું કરવા સ્ટ્રીટલાઇટના વાયર કાપી નાખીને ઇલેક્ટ્રિસિટીની સપ્લાય જ કાપી નાખી હતી. એટલું જ નહીં, દુકાનની અંદરના સીસીટીવી કૅમેરા ફુટેજનું રેકૉર્ડર પણ ચોરી ગયા છે. તેમની આ ચાલાકીને કારણે કેટલા ચોર હતા એ જાણી શકાયું નથી કે તેમની કોઈ ઇમેજ પણ મળી નથી. કાળાચૌકી પોલીસે હવે ચોરીનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ આદરી છે. જ્વેલર્સ દ્વારા સીસીટીવી કૅમેરા લગાડાયા હતા પણ તેને ક્લાઉડથી કે મોબાઇલ સાથે કનેક્ટ કર્યા નહોતા એથી પોલીસે તપાસ ઝીરોથી કરવી પડે એમ છે જેમાં મહેનત અને સમય બન્ને વધુ લાગી શકે.