શિવરાજ સિંહ ચૌહાણે કોરોનાને હરાવ્યો
શિવરાજ સિંહ ચૌહાણે કોરોનાને આપી માત
કોરોના પૉઝિટિવ આવેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. હૉસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ શિવરાજ સિંહ ચૌહાણે કોરોનાને માત આપી છે. ૨૫ જુલાઈએ સીએમ શિવરાજ સિંહ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેઓને ભોપાલની ચિરાયુ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેઓને ઘરમાં અલગ રહેવા અને ૭ દિવસ માટે પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવા માટેની સલાહ આપવામાં આવી છે.
હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીએમ શિવરાજે કહ્યું કે, કોરોના યોદ્ધાને મારા પ્રણામ. હું તમામ મેડિકલ સ્ટાફને હૃદયથી ધન્યવાદ આપું છું. કોરોનાથી ડરવાની જરૂર નથી. આપણે લાપરવાહી કરવાની નથી. લાપરવાહી કરવાથી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. કોરોનાથી કોઈને ગભરાવવાની જરૂર નથી. લક્ષણો છુપાવવા જીવલેણ છે. ચિંતા ન કરો, મસ્ત રહો અને આનંદથી બીમારીનો મુકાબલો કરો. મોઢા પર માસ્ક પહેરવું જરૂરી છે.
આ ઉપરાંત સીએમ ચૌહાણે કહ્યું કે હું પોતે કોરોના યોદ્ધા બની ગયો છું. કોરોનાને ખતમ કરવા માટે સહયોગ જરૂરી છે. આપણે લડીશું અને જીતીશું એ સંકલ્પ હોવો જોઈએ. કોરોનાથી પ્રદેશ જીતશે અને દેશ જીતશે. કોરોના પૉઝિટિવ આવ્યા છતાં પણ સીએમ ચૌહાણ સતત અૅક્ટિવ રહ્યા છે. હૉસ્પિટલમાં ભરતી થયાના બીજા જ દિવસથી તેઓએ બેઠકોનો સિલસિલો શરૂ કરી દીધો હતો.