બાળાસાહેબ શિવસૈનિક માટે જીવ આપવા તત્પર રહેતા
નંદુરબારમાં મોબાઇલના ટાવર પર ચડેલો ખેડૂત તુકારામ સખા પાટીલ અને તે જ્યાં ચડ્યો હતો એ મોબાઇલ ટાવર.
બીજેપીને છોડીને શિવસેના કૉન્ગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવા જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ગઈ કાલે રાજ્યના નંદુરબાર જિલ્લાના કાર્લી ગામના એક શિવસૈનિક ખેડૂતે મોબાઇલના ટાવર પર ચડીને ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે અમે મહાયુતિને મત આપીને સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે. આથી તમે જ્યાં સુધી બીજેપી સાથે મળીને સરકાર નહીં બનાવો હું ટાવર ઉપરથી નીચે નહીં ઊતરું એટલું જ નહીં, આ બહાદૂર ખેડૂતે એમ પણ કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે શિવસૈનિક માટે જીવ આપવા તત્પર રહેતા. આથી જનતાનો આદર નહીં કરો તો સારું નહીં થાય.
ADVERTISEMENT
નંદુરબારના કર્લી ગામમાં રહેતા ખેડૂત તુકારામ પાટીલ ૨૦૦૩થી ૨૦૧૩ દરમ્યાન શિવસેનાના શાખાપ્રમુખ રહી ચૂક્યા છે. ગઈ કાલે આ ખેડૂતો મોબાઇલના ટાવર પર ચડતાં પહેલાં શૂટ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ-એનસીપીની ૧૫ વર્ષની સરકારમાં ખેડૂતોની હાલત સૌથી ખરાબ થઈ હતી. બીજેપી-સેનાની સરકારમાં સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. આથી અમે મહાયુતિને ફરીથી સત્તા સોંપવા માટે મતદાન કર્યું હતું. હવે શિવસેના કૉન્ગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે એ અમારા જેવી આમજનતા માટે સારું નથી. આથી શિવસેનાએ આવું પગલું ન ભરવું જોઈએ.’
તુકારામ પાટીલે વિડિયોમાં એમ પણ કહ્યું છે કે ‘બાળાસાહેબ ઠાકરે શિવસૈનિકો માટે જીવ આપવા તત્પર રહેતા. આથી તેમને પગલે ચાલીને ઉદ્ધવ ઠાકરેએ મારા જેવા શિવસૈનિકની વાત સાંભળીને યોગ્ય નિર્ણય લઈને બીજેપી સાથે સમાધાન કરીને સરકાર બનાવવી જોઈએ.’
વિડિયોના અંતમાં તુકારામે કહ્યું હતું કે હવે હું મોબાઇલના ટાવર પર ચડીને માગણી કરીશ કે જ્યાં સુધી શિવસેના બીજેપી સાથે સરકાર બનાવવાનો નિર્ણય નહીં લે ત્યાં સુધી હું નીચે નહીં ઊતરું. આટલું કહીને તે મોબાઇલના ટાવર પર ખરેખર ચડી ગયો હતો. આ જોઈને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
આ પણ વાંચો : ફડણવીસનું ટ્વિટર હૅન્ડલ હવે ઓળખાશે 'મહારાષ્ટ્ર સેવક' નામે
આ બનાવ નંદુરબાર શહેરના ધુળે રોડ પરના ગોપાલનગર ખાતે બન્યો હતો. નંદુરબાર શહેર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર્લી ગામમાં રહેતો તુકારામ ભીખા પાટીલ શિવસૈનિક છે. તે બપોરના ૧૨ વાગ્યે મોબાઇલના ટાવર પર ચડ્યો હતો. તેને મહામહેનતે સાંજે પાંચ વાગ્યે સમજાવીને સુખરૂપ નીચે ઉતારાયો હતો. અમે આ ઘટનાની નોંધ લઈને તેને બાદમાં છોડી મૂક્યો હતો.’