લોકલ ટ્રેનના પાસનું રીફન્ડ આપો અથવા મુદત વધારી આપો
પ્રતીકાત્મક તસવીર
શિવસેનાના સંસદસભ્ય અનિલ દેસાઈએ માગણી કરી હતી કે મુંબઈ લોકલ ટ્રેનના પાસનો સમયગાળો લંબાવવો જોઈએ અથવા પાસધારકોને રીફન્ડ આપવું જોઈએ.
સોમવારે સેન્ટ્રલ રેલવે મિનિસ્ટર પીયૂષ ગોયલને લખવામાં આવેલા પત્રમાં અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના મુસાફરો મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મહિનાના અથવા તો ક્વૉર્ટરના પાસ લે છે. તમામ મુસાફરો મધ્યમવર્ગીય છે. આ તમામ લોકો પૈકી મોટા ભાગના મુસાફરોએ માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી ટ્રેનની કોઈ મુસાફરી કરી નથી એથી રેલવે વિભાગ દ્વારા કાં તો તેમના પાસની મુદત વધારી આપવામાં આવે અથવા પૈસા રીફન્ડ આપવામાં આવે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી મુંબઈ લોકલ ટ્રેનની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. આવામાં જે લોકોએ ત્રણ મહિના અથવા એક મહિનાનો પાસ લીધો હતો તેમને નુકસાન થયું હતું. મુંબઈની લોકલમાં રોજની મુસાફરી કરનાર લોકોની સંખ્યા ૮૦ લાખ જેટલી છે એથી પાસની મુદત વધારતાં તેમને રાહત મળી શકે છે.