કૉન્ગ્રેસે વિધાનસભાના સ્પીકરની બદલી કરી એનાથી શિવસેના નારાજ
નાના પટોલે
કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખપદે બાળાસાહેબ થોરાતના સ્થાને નાના પટોલેને લાવવાના નિર્ણય તેમ જ નાના પટોલેના રાજ્યના સ્પીકરપદેથી રાજીનામા તરફ શિવસેનાએ નાપસંદગીનો સૂર વ્યક્ત કર્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘સંગઠનાત્મક ફેરફાર કરવા એ પક્ષની આંતરિક બાબત છે, પરંતુ આ પ્રકારના નિર્ણય લેતી વખતે પણ સરકારને અસર ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે. રાજ્ય વિધાનસભાના સ્પીકરના હોદ્દા બાબતે મહા વિકાસ આઘાડીના ત્રણ ઘટક પક્ષો વાટાઘાટ દ્વારા નિર્ણય લેશે એવા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારના કથિત અભિપ્રાયમાં તથ્ય છે.’
પહેલી માર્ચથી રાજ્ય વિધાનસભાનું બજેટસત્ર શરૂ થતું હોવા છતાં નાના પટોલેએ સ્પીકરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્રની શાસક મહા વિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને શિવસેના સહયોગી પક્ષો છે એથી કૉન્ગ્રેસના નાના પટોલેના રાજીનામાથી આઘાડીના ઘટક પક્ષોમાં એની તીવ્ર પ્રતિક્રિયાઓ ઊપજી રહી છે.
ADVERTISEMENT
‘સામના’ના ગઈ કાલના અંકના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કૉન્ગ્રેસને પાંચ વર્ષ માટે સ્પીકરનો હોદ્દો આપવામાં આવ્યો હતો. એ મુદતની અધવચ્ચે નવા સ્પીકરની ચૂંટણી કરવાની ફરજ પડે એવી અપેક્ષા રાખવામાં આવી નહોતી. આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત.’