શિવસેના બીજેપી સાથે આવી શકે, ઉદ્ધવ નિર્ણય લેશે : મનોહર જોશી
મનોહર જોષી
(પી.ટી.આઇ.) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ ગઈ કાલે સ્ફોટક નિવેદન કરતાં કહ્યું હતું કે શિવસેના અને બીજેપી નજીકના ભવિષ્યમાં સાથે આવશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ બાબતે યોગ્ય સમયે નિર્ણય લેશે. મનોહર જોશીએ પત્રકારોને કહ્યું હતું કે ‘નાની નાની વાતોમાં ઝઘડવાને બદલે કેટલીક બાબતોમાં સહન કરવું યોગ્ય છે. તમે જે અનુભવ કરી રહ્યા છો તે બાબતે વાતચીત કરવી જોઈએ. જો બન્ને પક્ષ સાથે હશે તો તે બન્ને માટે લાભદાયી રહેશે. એવું નથી કે શિવસેના હવે ક્યારેય ફરી બીજેપી સાથે નહીં જાય. ઉદ્ધવ ઠાકરે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.’
મનોહર જોશી શિવસેનાના વરિષ્ઠ નેતા છે અને તેમના આ નિવેદનથી મહા વિકાસ આઘાડી સરકારમાં શિવસેના કદાચ મુશ્કેલી અનુભવી રહી હોવાની શક્યતા નકારી ન શકાય. તાજેતરમાં મુખ્ય પ્રધાનપદને મામલે બન્ને પક્ષે અલગ થવાની પૃષ્ઠભૂમિ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. શિવસેનાએ બીજેપી સાથેની યુતિ તોડીને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે ગયા મહિને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠક માટે ૨૧ ઑક્ટોબર ૨૦૧૯ના યોજાયેલી ચૂંટણીનું ૨૪ ઑક્ટોબરે પરિણામ જાહેર થયું હતું. જેમાં ૧૦૫ બેઠક સાથે બીજેપી સૌથી મોટો પક્ષ રહ્યો હતો, જ્યારે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસને અનુક્રમે ૫૬, ૫૪ અને ૪૪ બેઠક મળી હતી.