Sheena Bora Murder Case: રાકેશ મારિયાને મેરઠથી આવ્યો હતો રહસ્યમ કૉલ?
મનીષ પચૌલીના પુસ્તકમાં વાત કરાઇ છે કે ઇંન્દ્રાણીનાં કોઇ નજીકનાં માણસે જ રાકેશ માઇરાને હિંટ મળે તે રીતે અજાણ્યો કૉલ કરાવ્યો હતો.
શીના બોરા મર્ડર કેસના નવ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ આ હત્યા એક રહસ્ય જ છે. 2012માં આ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સીબીઆઈએ પણ આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની તપાસ કરી હતી, પરંતુ આ કેસ હજુ ઉકેલાયો નથી. આ એક એવું મર્ડર મિસ્ટ્રી છે, જેનું રહસ્ય આજ સુધી બહાર આવ્યું નથી. હત્યાનું રહસ્ય એટલું જટિલ હતું કે શરૂઆતમાં શીના બોરાની લાશ ઈન્દ્રાણી મુખર્જીએ તેની બહેન હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે તેની પુત્રી છે. ઈન્દ્રાણી મુખર્જીએ બે લગ્ન કર્યા હતા. શીના બોરા તેના પહેલા પતિની પુત્રી હતી. આ કિસ્સામાં, સસ્પેન્સ સતત વધતું રહ્યું.
શીના બોરા મર્ડર કેસથી આપણે બધાં જ વાકેફ છીએ. 2020ના ફેબ્રુઆરી મહીનાના પહેલા સપ્તાહમાં જ પીટર મુખર્જીને આ કેસમાં જામીન મળ્યા હતા. મુંબઇનાં પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ અંતે આ કેસ અંગે પોતાની બાજુ રજુ કરવા માટે પુસ્તક `લેટ મી સે ઇટ નાઉ` લખ્યું જે 2020માં પ્રકાશિત થયું હતું.
ADVERTISEMENT
રાકેશ મારિયા અને પિટર મુખર્જી વચ્ચે મૈત્રી હતી?
2012માં ઇન્દ્રાણી મુખર્જીએ દીકરી શીના બોરાની હત્યા કરી હતી, કોઇ પણ સસ્પેન્સ થ્રિલર જેવા એ કેસની તપાસ કરનાર રાકેશ મારિયા શહેરનાં પોલીસ કમિશનરના પદ પરથી અચાનક જ ટ્રાન્સફર કરાયા હતા અને તેમની પર આક્ષેપ મુકાયા હતા કે તેઓ પીટર મુખર્જીની સંડોવણી આ ગુનામાં નથી તેવું દર્શાવી શકાય તેનો પ્રયાસ કરી રહ્યા હતા. મજાની વાત એ છે કે 2015માં આ કેસ લાઇમ લાઇટમાં આવ્યો. ફડણવીસ ત્યારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી હતા અને કહેવાય છે કે તેમના કહેવાથી જ રાકેશ મારિયાની ટ્રાન્સફર હોમ ગાર્ડ્ઝનાં ડીજી તરીકે થઇ પણ છતાં ય ફડણવીસે થોડા સમય પછી એવું સ્ટેમેન્ટ આપ્યું કે રાકેશ મારિયા મુંબઇ પોલીસનો હિસ્સો ન હોવા છતાં આ કેસને તેઓ જોશે. થોડા જ સમયમાં સરકારા કેસ સીબીઆઇને સોંપી દીધો, કહેવાય છે કે હત્યાની આસપાસના તાણાવાણા અને વિવાદોને ટાળવા આમ કરાયું હતું.
ઈંદ્રાણીની પૈસાની લાલચથીં કંટાળેલા પિટરને થયું કે હવે તેની ગુનાહિત પોલ ખુલ્લી પાડ્યે જ છૂટકો
અત્યાર સુધી તો રાકેશ મારિયાએ આ બાબત મૌન સેવ્યું હતું પણ હવે નિવૃત્ત થયેલા આ પોલીસ અધિકારીએ તેમના પુસ્તક `લેટ મી સે ઇટ નાઉ`માં ઘણી બધી બાબતો વિષે મોકળાશથી વાત કરી છે. મારિયાએ પુસ્તકમાં કહ્યા અનુસાર મુંબઇના એક ટોચનાં પોલીસ અધિકારીએ પોતાને આ કેસની વિગતોના મામલે અંધારામાં રાખ્યા હતા, ફડણવીસને કોઇએ પોતાના નામે ખોટી માહિતી આપી હતી, તેમની ટ્રાન્સફર અચાનક થઇ હતી અને તે વિષે તેમને ટેક્સ્ટ મેસેજથી જાણ કરાઇ હતી. રાકેશ મારિયાએ પુસ્તકમાં મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે શું તેઓ જાણતા હતા કે તેમના બાદ આવેલા પોલીસ કમિશનર મુખર્જીઝની નિકટ હતા? મારીએ પોતે દેવેન્દ્ર ફડણવીસને કોઇ રીતે મિસલીડ નહોતા કર્યા એમ પણ કહ્યું છે.
રાકેશ મારિયાનું પુસ્તક હજી તો બજારમાં તાજું છે પણ ક્રાઇમ જર્નાલિઝમની દુનિયામાં લાંબો સમય કામ કરનારા મનીષ પચૌલીનાં પુસ્તક `શીના બોરા મર્ડર કેસ`માં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ છે જેના વિષે રાકેશ મારિયાએ પણ પોતાના પુસ્તકમાં કોઇ સીધો ઉલ્લેખ નથી કર્યો.
મેરઠથી ફોન કરનાર રહસ્યમય કૉલર કોણ?
લાંબા સમય સુધી ક્રાઇમ જર્નાલિસ્ટ તરીકે કામ કરનારા મનીષ પચૌલીનું પુસ્તક 2018માં બહાર પડ્યું, 230 પાનાંના આ પુસ્તકમાં આ કેસને લગતી ઘણી બધી વિગતો છે. રાકેશ મારિયાનું પુસ્તક પ્રકાશિત થાય છે ત્યારે મિડ-ડે સાથે વાત કરતાં મનીષ પચૌલીએ શીના બોરાની હત્યા સાથે જોડાયેલી એક એવી કડીનો ઉલ્લેખ કર્યો છે જેના વિષે તેમણે પુસ્તકમાં પણ લખ્યું છે. તેમણે જણાવ્યું કે, "જે રીતે ડ્રાઇવરની ધરપકડ કરાઇ તે પણ એક પ્લાન જ હતો. સાંતાક્રુઝમાં રહેતો ડ્રાઇવર શા માટે પિસ્તોલ ફેંકવા માટે કાર્ટર રોડ જાય, તે મીઠી નદીમાં પણ પિસ્તોલ ફેંકી શકત. ધરપકડ બાદ ડ્રાઇવરે પુછપરછમાં ઇન્દ્રાણી મુખર્જીએ કઇ રીતે શીનાની હત્યા કરી તેની કબુલાત કરી અને કેસ ખુલ્યો તેવું કહેવાય છે એ ચોક્કસ, પરંતુ ઇન્દ્રાણીનાં પગ તળે રેલો આવે તે માટે આખો કારસો ગોઠવવામાં આવ્યો હતો." મનીષ પચૌલીએ ઉમેર્યું કે, "એ દિવસોમાં આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા થતી હતી કે શીના બોરા અમેરિકામાં નથી અને તે ક્યાં છે તેની તપાસ થવી જ જોઇએ તેવી જાણકારી આપતો એક ફોનકૉલ રાકેશ મારિયાને આવ્યો હતો. સુત્રો અનુસાર આ ફોનકૉલ મેરઠથી આવ્યો હતો. જો કે રાકેશ મારિયાએ ક્યારેય પણ આ વાતની કોઇ કબુલાત નથી કરી."
મનીષ પચૌલીનાં પુસ્તકમાં રજુ થઇ છે વાત કે કદાચ પિટર મુખર્જીએ જ કરાવ્યો હતો એ કૉલ જે મારિયાએ રિસીવ કર્યો હતો.
પિટર મુખર્જીને શીનાની હત્યા થઇ હતી તે પહેલેથી જાણ હતી, એ હકીકત છે કે તે પોતે આ હત્યામાં સંડોવાયેલો નહોતો પણ જ્યારે તેને સમજ પડવા માંડી કે ઇન્દ્રાણી યેનકેન પ્રકારેણ તેની સંપત્તિને પોતાનાં ખાનગી બૅંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી રહી છે અને તેને રોકવાનો જ્યારે પિટર પાસે કોઇ રસ્તો નહોતો ત્યારે આ હત્યાની વાત બહાર પાડવી જોઇએ તેવું તેને લાગ્યું. મનીષ પચૌલીનું કહેવું છે કે, "આંતરિક વર્તુળોમાં સતત એવી ચર્ચાઓ ચાલી હતી કે મેરઠથી આવેલો પેલો રહસ્યમય ફોનકૉલ ઇન્દ્રાણીનાં નિકટનાં વર્તુળોમાંથી જ કોઇ કરાવ્યો હતો અને એવી વાતો પણ થતી હતી કે શક્યતા છે કે આ કૉલ કરાવનાર પીટર મુખર્જી જ હતો કારણકે તે કોઇપણ ભોગે પોતાની ધન સંપત્તિ ઇન્દ્રાણીનાં હાથમાં જતી રોકવા માગતો હતો"
રાકેશ મારિયા પોતે પીટરની નજીક હતા તેવું નથી કહેતા પણ જ્યારે આપણે આ વિશ્લેષણ વાંચીએ ત્યારે ચોક્કસ એ વિચાર મનમાં આવે કે પીટર મુખર્જીએ હત્યાને કવર-અપ કરવામાં જે મદદ કરી હતી તેનો ઢાંક પિછોડો કરવામાં અને ઇન્દ્રાણીને જેલ ભેગી કરવામાં કોઇ પ્રકારની મૈત્રીએ જ કદાચ કામ કર્યું હતું. રાકેશ મારિયાએ પોતાની બાજુ દર્શાવવા પુસ્તક લખ્યું છે જ્યારે પત્રકાર મનીષ પચૌલીનાં પુસ્તકમાં આ કેસ સાથેનાં આર્થિક પાસાં, ઇન્દ્રાણીની પૈસા માટેની ભૂખ, અંગત વર્તુળોમાં થતી વાતો અને આશંકાઓને વણીને કેસનું ચિત્ર ખડું કર્યું છે. શીના બોરા મર્ડર કેસ બધાં જ મોટા ગુનાઓને વટી જાય તેવો પેચીદો કેસ સાબિત થયો છે ત્યારે આ બંન્ને પુસ્તકોનાં દ્રષ્ટિકોણ જાણવા રહ્યા.