ધનંજય મુંડેની ઘાત ગઈ?
ધનંજય મુંડે
સામાજિક ન્યાય ખાતાના પ્રધાન ધનંજય મુંડે પર બળાત્કારનો આરોપ મૂકનારી મહિલા સામે બીજેપી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ સહિત ત્રણ જણે બ્લૅક મેઇલિંગના આરોપો મૂક્યા પછી પાસાં પલટાયાં છે. ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારની અધ્યક્ષતામાં યોજાયેલી પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં ધનંજય મુંડે પાસે પ્રધાનપદેથી રાજીનામું નહીં માગવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શરદ પવારે જણાવ્યું હતું કે ‘સંબંધિત મહિલા સામે મુકાયેલા આરોપોને ધ્યાનમાં રાખતાં ધનંજય મુંડેની બાબતમાં કોઈ પણ નિર્ણય પર આવતાં પહેલાં બધા કેસની વિગતવાર તપાસ કરવી જરૂરી છે. ગુરુવારે મેં પહેલી વખત આ બાબતે પ્રતિક્રિયા વ્યક્ત કરી ત્યારે ધનંજય મુંડે સામેના આરોપો પ્રથમદર્શી રીતે ગંભીર જણાયા હતા. એક મહિલાના આરોપો હોવાથી મેં એવું કહ્યું હતું, પરંતુ વિવિધ વિચારધારાઓ ધરાવતા પક્ષોના નેતાઓ સહિત ત્રણ જણે પ્રસાર માધ્યમો અને પોલીસને જે માહિતી આપી છે એને ધ્યાનમાં રાખતાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આ કેસમાં અસિસ્ટન્ટ કમિશનરના દરજ્જાની મહિલા પોલીસ અધિકારીને કેસની તપાસ સોંપવાનું સૂચન કર્યું છે. આપણે સત્ય જાણવું જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ સામે કોઈ પુરુષે કે સ્ત્રીએ આરોપ મૂક્યા હોય એ કારણસર તેણે રાજીનામું આપી દેવાની જરૂર રહેતી નથી. જો શુક્રવારે ત્રણ જણે તેમની વાતો જણાવી ન હોત તો આજે આપણે બીજા કોઈ મુદ્દે વાત કરતા હોત.’