દાઉદના ડોંગરીમાં હાથ નાખનારા એનસીબી અધિકારીની સિક્યૉરિટી વધારાઈ
દાઉદ ઇબ્રાહિમ (ફાઈલ તસવીર)
મોસ્ટ વૉન્ટેડ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના ડ્રગ્સ રૅકેટ સામે કાર્યવાહી કરનારા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની સિક્યૉરિટી વધારવામાં આવી છે. દાઉદનું બાળપણ જ્યાં વીત્યું હતું અને લાંબા સમયથી જે ડી ગૅન્ગનો અડ્ડો છે એ ડોંગરીમાં ડ્રગ્સ બનતું હોવાની માહિતી મળ્યા બાદ એનસીબીની ટીમે ગુરુવારે અહીં કાર્યવાહી કરી હતી. આ ફૅક્ટરીનો સીધો સંબંધ દાઉદ સાથે હોવાથી જોખમને ધ્યાનમાં રાખીને સમીર વાનખેડેની સિક્યૉરિટીમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.
એક સમયના ડૉન કરીમલાલાના પૌત્રની એનસીબીએ ધરપકડ કરવાની સાથે દાઉદ આરીફના ઘરમાં ઘૂસીને સમીર વાનખેડે અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં ૨૩ નવેમ્બરે ગોરેગામમાં ડ્રગ્સ પેડલર સામેની કાર્યવાહી દરમ્યાન ૫૦થી ૬૦ લોકોએ એનસીબીની ટીમ પર હુમલો કર્યો હતો.