૨૬/૧૧ આઘાત પ્રત્યાઘાત - સી-લિન્કની સલામતી માટેનો ૫૦ કરોડનો પ્લાન અધ્ધરતાલ
શહેર ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલાની ત્રીજી વરસીનો શોક મનાવી રહ્યું છે ત્યારે બાંદરા-વરલી સી-લિન્કની સુરક્ષાના વિવાદાસ્પદ મુદ્દાનો હજી કોઈ ઉકેલ નથી આવ્યો અને એના માટે ખાસ બનાવવામાં આવેલો ૫૦ કરોડ રૂપિયાનો અલાયદો પ્લાન હજીયે અધ્ધરતાલ છે. હાલમાં આ ૪.૭ કિલોમીટર લાંબા બ્રિજ પર માત્ર છ સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા લગાવવામાં આïવ્યા છે જેનો ઉપયોગ ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે કરવામાં આïવે છે. આ મુદ્દે વાત કરતાં રાજ્ય સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘૨૦૦૯ના જૂનમાં મુંબઈના ત્યારના પોલીસ-કમિશનર ડી. શિવાનંદને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ને સંખ્યાબંધ કાગળો લખીને આતંકવાદી હુમલા સામે સી-લિન્કને રક્ષણ આપવાના ૫૦ કરોડ રૂપિયાના પ્લાનને અમલમાં મૂકવાની વિનંતી કરી હતી. આ કાગળમાં શિવાનંદને ૧૬૩૪ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજની સુરક્ષા માટેનાં જરૂરી ઉપકરણોની યાદી પણ મોકલી હતી. આમાં પહેલા કાગળમાં ૩.૭૦ કરોડની સિક્યૉરિટી સિસ્ટમની ભલામણ કરવામાં આવી હતી, જ્યારે બીજા કાગળમાં ૪૫ કરોડ રૂપિયાની વધારાની સુરક્ષાવ્યવસ્થા લગાવવાનું જણાવવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
સંભવિત આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એમએસઆરડીસીએ આ વર્ષની શરૂઆતમાં સી-લિન્ક પર ટ્રાયલ તરીકે વિસ્ફોટક પકડી પાડતું સ્કૅનર બેસાડ્યું હતું, પણ એને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા થતી હોવાથી એને હટાવી લેવામાં આવ્યું હતું. આ મુદ્દે વાત કરતાં એમએસઆરડીસીના ચૅરપર્સન અને પબ્લિક વક્ર્સ મિનિસ્ટર જયદત્ત ક્ષીરસાગરે કહ્યું હતું કે ‘અમે બાંદરા-વરલી સી-લિન્ક પર વિસ્ફોટક પકડી પાડતું સ્કૅનર બેસાડવા માટે ટેન્ડર મગાવ્યાં હતાં ત્યારે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે જે કંપનીઓ એનું નિર્માણ કરતી હશે એની અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રકારની શરતને કારણે અમને એક જ અરજી મળી હતી. એક મહિનાની ટ્રાયલ પછી ફાઇનલ અપ્રૂવલ માટે સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટને પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. અમે આ મુદ્દે ગંભીર છીએ અને આગામી ત્રણ મહિનામાં આ સ્કૅનર ગોઠવી દેવામાં આવશે.’