સંજીવ ભટ્ટની જન્મટીપ અટકાવવાની પિટીશનને સુપ્રીમ કોર્ટે ફરી ટાળી
સંજીવ ભટ્ટ - ફાઇલ તસવીર
જન્મટીપની સજા કાપી રહેલા સંજીવ ભટ્ટને ફરી એકવાર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ધક્કો પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની જન્મટીપની સજાને અટકાવવાની પિટીશનને છ અઠવાડિયા માટે ટાળી દીધી છે. કોર્ટે જણાવ્યું કે આ યાચિકા પર સુનાવણી ત્યારે જ થશે જ્યારે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ 2019માં દાખલ કરેલી પુનઃવિચાર પિટીશનનો ચૂકાદો આવશે. સંજીવ ભટ્ટ અને અન્ય 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો કે તેમણે અટકમાં લેવાયેલાઓ પર ટોર્ચર કર્યું હતું જેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત કથળતાં તેમને હૉસ્પિટલ લઇ જવાયા હતા અને ત્યાં તેમનું મોત થયું હતું. 1990માં થયેલી આ ઘટના વખતે સંજીવ ભટ્ટ જામનગરમાં ફરજ બજાવતા હતા અને ભાજપાના લાલ કૃષ્ણ અડવાણીએ કાઢેલી રથયાત્રા વખતે પોલીસે 100 જેટલા લોકોને અટકમાં લીધા હતા. મૃતક પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 2019માં સુપ્રીમ કોર્ટે આ કસ્ટોડિયલ ડેથના ગુનામાં સંજીવ ભટ્ટને જન્મટીપની સજા ફરમાવી અને તે સજા રોકવા માટે સંજીવ ભટ્ટે પિટિશન કરી હતી જેને ફરી એકવાર સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયા માટે ટાળી દીધી છે.
સંજીવ ભટ્ટના વકીલ કપિલ સિબ્બલે સૂચન કર્યું કે સુપ્રીમ કોર્ટ માટે બહેતર રહેશે કે તેઓ પહેલાં જૂન 2019ની યાચિકાના અટકેલા વિચાર પર કાર્ય કરે, જેણે ટ્રાયલમાં વધુ સાક્ષીઓની તપાસ કરવા માટે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પિટીશનને ખારીજ કરાઇ હતી.સુપ્રીમ કોર્ટે પૂર્વી આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા 1990માં કસ્ટોડિયલ ડેથના કેસમાં તેમની સજા સસ્પેન્ડ કરવા અંગે દાખલ કરાયેલી પિટીશન અંગે કોઇપણ કાર્યવાહી આગામી છ અઠવાડિયા નહીં થાય તે કહી દીધું છે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકાના ઘણાં માનવાધિકાર કાર્યકર્તા અને સંગઠનોએ ભારતના સુપ્રીમ કોર્ટને સોમવારે અપીલ કરી કે તેઓ પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની જમાનતને મંજૂરી આપે. ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને હિંદુઝ ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા આયોજિત એક ઓનલાઇન સંવાદદાતા સંમેલનમાં આ સંગઠનો અને તેના કાર્યકર્તાઓએ દાવો કર્યો કે હત્યાના એક મામલામાં સંજીવ ભટ્ટને દોષી સાબિત કરાયા છે જે સાવ ખોટું છે અને આ ખોટાં પુરાવા પર આધારિત નિર્ણય છે.