માતોશ્રી બંગલા પાસે બંધાતા ઠાકરેના નવા બંગલાના સોદા વિશે પ્રશ્ન ઊભા થયા
સંજય નિરુપમ
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમના હાલના બાંદરાના કલાનગરના માતોશ્રી બંગલાની નજીક બીજો બંગલો બંધાવી રહ્યા છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ની નજીકની મિલકતના સોદા સામે કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમે સવાલ ઊભા કરતાં રાજ્યની મહા વિકાસ આઘાડી સરકાર પર આફતનાં વાદળાં ઘેરાવાની શક્યતા સર્જાઈ છે. સંજય નિરુપમે માતોશ્રી-2ના સોદાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા તપાસની માગણી કરી છે.
સંજય નિરુપમે જણાવ્યું હતું કે ‘જો સ્ટર્લિંગ બાયોટેક મની-લૉન્ડરિંગ કેસની તપાસમાં ડિરેક્ટર સાહેબના સવાલ પૂરા થયા હોય તો તેમણે હવે મુંબઈ તરફ નજર દોડાવવી જોઈએ. જો ઉદ્ધવ ઠાકરે અને સ્ટર્લિંગ બાયોટેક કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના મેમ્બર રાજભૂષણ દીક્ષિત વચ્ચેના જંગી પ્રૉપર્ટી ડીલની તપાસ કરતાં તેમને ઘણા સવાલના જવાબ મળી શકશે. હા, માતોશ્રી-2ની પ્રૉપર્ટી રાજભૂષણ દીક્ષિત અને તેમના ભાઈ પાસેથી ખરીદવામાં આવી છે. એ જ રાજભૂષણ દીક્ષિત જેમની ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એ કેસના આરોપી સાંડેસરાબંધુઓ નાસી ગયા છે અને કેસની તપાસ સીબીઆઇ પણ કરે છે.’