Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહીં પહુંચને કે લિએ કહીં સે નિકલના ઝરુરી હોતા હૈ

કહીં પહુંચને કે લિએ કહીં સે નિકલના ઝરુરી હોતા હૈ

29 December, 2018 09:28 AM IST |
સંજય રાવલ

કહીં પહુંચને કે લિએ કહીં સે નિકલના ઝરુરી હોતા હૈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજય દ્રષ્ટિ 

મારાં લેક્ચરોની એક શ્રેણી છે. ભયમુક્ત જીવન. આ એનું નામ. દોઢેક વર્ષ પહેલાં જ્યારે આ કૉલમ શરૂ કરવાની વાત ચાલતી હતી ત્યારે પણ મને આ જ નામ આ કૉલમ માટે સૂઝ્યું હતું અને એનું કારણ પણ છે કે હું હંમેશાં કહું છું કે ભયમુક્ત જીવન જીવવું જોઈએ. હકીકત પણ એ જ છે. ભયમુક્ત જીવન જ જીવવાનું હોય અને એમ છતાં પણ બધાને આ વાત સમજાતી નથી અને સતત ભય વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે. આખી જિંદગી ભય વચ્ચે જીવ્યા હોઈએ, ડર વચ્ચે જીવ્યા હોઈએ એટલે હવે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તો પણ આપણે સામે ચાલીને ડર શોધવા નીકળી પડીએ છીએ. શા માટે?



આ ‘શા માટે’નો જે જવાબ છે એ જવાબ ખરેખર સૌકોઈએ મનમાં ઉતારવાની જરૂર છે.


 

ક્યાંક ને ક્યાંક હવે આપણે એ સ્વીકારતા થઈ ગયા છીએ કે ભય વગરનું જીવન હોઈ જ ન શકે, એ તો રહેવો જ જોઈએ અને એ હોય તો જ આપણે શાંતિથી જીવી શકીએ. અચરજભર્યું જૂઠાણું આપણે આખી જિંદગી સાથે રાખીને ફરીએ છીએ અને એમાં જ આપણે ભય અને ડર વચ્ચે આખી જિંદગી પસાર કરી નાખીએ છીએ. પણ મિત્રો, હું સાચું કહું તમને, ડર વિનાનું જીવન શક્ય છે. ડર વિનાનું જીવન પણ શક્ય છે અને ઉપાધિ વિનાનું જીવન પણ શક્ય છે.


 

બને છે એવું કે આપણે દરેક જગ્યાએ આપણી જાતને ઇન્ફીરિયર કરતા રહીએ છીએ, નીચી માનતા રહીએ છીએ. સતત મનને કાબૂમાં રાખીએ અને આપણે નેગેટિવ કમાન્ડ આપતા રહીએ કે જો તું આમ કરીશ તો આ ખરાબ પરિણામ આવશે અને જો તું પેલું કરીશ તો આમ નહીં થાય. બસ, આ જો અને તો વચ્ચેની રમત આપણે રમ્યા કરીએ છીએ અને સાથે-સાથે આપણે આપણી જાતને ડીમોટિવેટ પણ કરતા રહીએ. હકીકત એ છે કે આપણે આપણી જાતને મોટિવેટ કરવાની છે. જો આગળ આવવું હોય, વિકાસ કરવો હોય અને જો નામ રોશન કરવું હોય તો તમારે મહેનત કરવી પડે, મહેનત જેટલી કરશો એવું અને એટલું પરિણામ મળશે. જો વધારે મોટું અને સારું પરિણામ જોઈતું હોય તો તમારે ઠેકડો મારવો પડે અને નવાં-નવાં સાહસો કરવાં પડે અને આ સાહસો કરવા માટે તમારે જ તમારી જાતને મોટિવેટ કરવાની હોય. પણ ના, આપણે આપણી જાતને સતત ડીમોટિવેટ કરતા રહીએ છીએ.

 

એક વાર્તા સાંભળો. એક ગોવાળ હતો. તેની પાસે ત્રણસો ઘેટાં હતાં. તે રોજ દૂર ડુંગર સુધી ઘેટાં ચારવા જાય. રસ્તામાં તેને નદી આવે, અડાબીડ જંગલ આવે અને એના પછી છેક ડુંગર આવે. રોજ તે આટલું ચાલીને પોતાની મંઝિલ પર પહોંચે. સવાર પડે એટલે દરરોજ તે ચાલતો નીકળે. બધાં ઘેટાં પણ સાથે જોડાય અને બધાં પોતપોતાની રીતે આગળ વધતાં જાય. વષોર્નો આ નિયમ હતો એટલે કોઈને કશું કહેવાનું નહીં, કોઈને ખોટી દિશામાં વળવાનું નહીં અને સાંજે પાંચ વાગ્યે પાછાં આવવાનું. ત્યારે પણ આ એક જ રસ્તો એટલે એમાં પણ કોઈએ કોઈને ટોકવાનું નહીં. નવાઈ ત્યારે થાય જ્યારે એક દિવસ એક ઘેટું એકલું નીકળી પડે અને દૂર સુધી એકલું ચાલ્યું જાય. જ્યારે ગોવાળને દેખાતું બંધ થાય ત્યારે ગોવાળ બાકીનાં બધાં ઘેટાંને પડતાં મૂકીને નીકળે એ એકલા નીકળી ગયેલા ઘેટાને પાછું લાવવા. થોડે દૂર જાય એટલે એ દેખાઈ આવે અને પછી એ ઘેટાને ખભે નાખીને પાછું લઈ આવે. આ ગોવાળ એટલે ઈશ્વર. ઈશ્વરને ખબર છે કે તમને એક રસ્તો બતાવ્યો છે એ રસ્તે જ તમે ચાલી નીકળો છો, પણ જો તમે અલગ રસ્તો બનાવશો તો ઈશ્વર જ તમને ખભે નાખીને પરત લઈ આવશે. તમે એકલા જ છો અને તમને એકલાને જ એ રસ્તેથી પાછા લાવવાના છે, પણ એ કામ ભગવાન કરે છે. બધાને પડતા મૂકીને કરે છે. પણ એ કામ ભગવાને કરવું પડે એ પહેલાં તમારે તમારી હિંમત દેખાડવાની છે, તમારે એકલા આગળ વધી જવાનું છે. યાદ રાખજો, જો તમે એકલા ક્યાંય જશો અને એ રસ્તો તમારો નહીં હોય તો ઈશ્વર તમને ક્યાંય જવા નહીં દે, તે તમારી મદદ માટે આવી પહોંચશે. જો તમે ખોવાઈ જશો તો તે તમને શોધી પણ લેશે અને જો તમને મદદની જરૂર પડશે તો તે તમને મદદ આપવા પણ આવી જશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો તમે ઇચ્છતા હો કે ઈશ્વર તમારી પાસે આવે, ઈશ્વર તમારી બાજુમાં રહે તો તમારે સતત સાહસો કરતાં રહેવું પડશે. ગાડરિયા પ્રવાહમાં ચાલતા જતા લોકોની મદદે તેને નથી જવું પડતું. તેણે મદદ તો તેને કરવા જવી પડે છે જે રસ્તાથી દૂર જાય છે. ગાઇડન્સ તો તેણે તેને આપવું પડે છે જે કંઈક નવું કરવા માટે તત્પર છે. દિશા તો તેણે તેને દેખાડવી પડે છે જે ખોટી કે પછી અયોગ્ય દિશામાં આગળ વધવા માંડે છે. અને મિત્રો, ખભા પર તો તેણે તેને જ લેવો પડે છે જે પોતાની જાતે પોતાનો માર્ગ બનાવવા નીકળે છે.

ડર કે ભય શું કામ?

 આપણને એની આદત પડી ગઈ છે એટલે? બસ, આ જ કારણે. એક ઉંમર પર પહોંચ્યા પછી આપણે જેમ દરરોજ બ્લડ-પ્રેશરની દવા લેવી પડે છે એમ આપણે હવે ભયની પણ દરરોજ દવા લેવી પડે છે. મારી સાથે બીક સાથે કે પછી ડર સાથે કોઈ વાત કરે તો હું તેમને કહેતો હોઉં છું કે ચિંતા નહીં કરો, તમે ક્યાંય નથી જવાના અને તમને કંઈ નથી થવાનું અને સમય આવ્યે જે થશે એ માત્ર અફસોસ હશે કે એક સમય હતો કે જે સમયે હું સાહસ કરી શકતો હતો, પણ મેં કર્યું નહીં. બસ, આ જ વાતનો અફસોસ.

 

હું સાચું કહું છું. જો આ જ રીતે રહ્યા, જો આ જ રીતે ડરતા રહ્યા અને સંકોચ સાથે જીવતા રહ્યા તો એક દિવસ અફસોસ જરૂર થવાનો છે. અફસોસ થાય ત્યારે જો તકલીફ ન થવાની હોય તો ચાલે; પણ જો તકલીફ પડવાની હોય, પીડા થવાની હોય, દુ:ખ થવાનું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે અત્યારે જ ભય છોડીને નીકળી જાઓ. જૂના પીંજરાને છોડીને નીકળશો તો જ ઊંચી ઉડાન ભરવાના દિવસો આવશે નહીં તો કિનારે બેસીને બીજા કહેતા હોય છે એમ કહેતા રહેવું પડશે કે બાપ રે, પાણી બહુ ઠંડું હતું.

 

ઘણા યુવાનો મેં એવા પણ જોયા છે કે જે બધું હારી ગયા હોય અને એ પછી પણ ફરીથી બેઠા થઈને ભાગવા લાગે. આનું કારણ એ છે કે એક વાર તમને ખબર પડી ગઈ કે તમે બધું ગુમાવી દીધું. હવે તમને ખબર છે કે આનાથી વધારે કંઈ ગુમાવવાનું રહેતું નથી. બહુ સાચો સ્પિરિટ છે આ. બીજી વાત, તમે જે ભૂલ એક વાર કરી લીધી છે એ જ ભૂલ તમે બીજી વાર તો કરવાના જ નથી તો પછી બીક શેની રાખવાની મનમાં?

કીડીનો એક સ્વભાવ છે. એ એક વાર પડે કે હજાર વાર પડે, પણ પડવાની પ્રક્રિયાને એ સહજ ગણીને દર વખતે ફરી પોતાના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દે છે. તમે ક્યારેય કીડીની આ પ્રકૃતિનું કારણ સમજવાની કોશિશ કરી છે ખરી?

 આ પણ વાંચોઃ ન તૂટેગા કભી, ન ઝૂકેગા કભી

મારી દૃષ્ટિએ સતત ચાલતી રહેતી કીડીના મનમાં એક જ વાત હોતી હશે કે જો હું આગળ નહીં વધુ તો લોકો મને ચગદી નાખશે. મિત્રો, યાદ રાખજો. આ જ ફિલોસૉફી તમારામાં હોવી જોઈશે. જો તમે આગળ નહીં વધો તો બીજા તો તમને કચડી નાખશે અને કચડાવું ન હોય તો કચડાઈ જવાનો ડર રાખ્યા વિના રસ્તો ક્રૉસ કરવા માટે દોડો, ભાગો. એક ફિલ્મનો ડાયલૉગ છે. મિત્રો, આ ડાયલૉગને તમારા જીવનનો મંત્ર બનાવીને રાખશો તો બહુ લાભ થશે.

 

કહી પહુંચને કે લિએ, કહીં સે નિકલના બહુત ઝરુરી હોતા હૈ.

 

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2018 09:28 AM IST | | સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK