સાબરમતી રિવરફ્રન્ટના હિસાબમાં 69 કરોડનો ગોટાળો, ઑડિટમાં ખુલાસો
સાબરમતી રિવરફ્રન્ટ
અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. બહારથી સુંદર દેખાતાં રિવરફ્રન્ટના ૨૦૧૮-૨૦૧૯ના ઑડિટમાં પોલંપોલ બહાર આવી છે. જેમાં ૬૯ કરોડનાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસે કર્યો છે ત્યારે ગોટાળા સામે આવ્યા બાદ પક્ષ અને વિપક્ષની એકબીજા પર આક્ષેપબાજી શરૂ થઈ છે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા તપાસની માગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂ. ૬૯ કરોડ ક્યાં ગયા અને કયા કામ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો કોઈ હિસાબ મળી નથી રહ્યો.
અમદાવાદમાં રિવરફ્રન્ટ વર્ષ ૨૦૧૮-૧૯નાં ઑડિટમાં કરોડો રૂપિયા કયા કામમાં કઈ રીતે અને ક્યાં વાપરવામાં આવ્યા તેનો હિસાબ મળી નથી રહ્યો. ૨૦૧૮-૨૦૧૯નું ઑડિટ ખાનગી ઑડિટર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઑડિટમાં ૬૯,૩૧,૧૧,૪૭૬ રૂપિયાનો કોઈ હિસાબ નથી મળી રહ્યો. સાબરમતી રિવરફન્ટ કંપની કૉર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે. પ્રજાના પૈસા ક્યાં ગયા તેનો ઑડિટ રિપોર્ટમાં કોઈ હિસાબ નથી મળી રહ્યો ત્યારે વિપક્ષે ચીફ વિજિલન્સ તપાસ કરે તેવી માગ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....
સમગ્ર ગોટાળો સામે આવ્યા બાદ મેયર બિજલ પટેલે વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માના આક્ષેપો પર જણાવ્યું હતું કે ઑડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મીટિંગમાં હાજર રહેવું જરૂરી છે. વિપક્ષ નેતાએ હાજર રહીને ચર્ચા કરવી જોઈતી હતી. દિનેશ શર્મા મીટિંગમાં ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહીને આક્ષેપ કરવો તે અસ્થાને છે. તો વિપક્ષે સમગ્ર મામલો સ્ટેટ વિજિલન્સ તપાસ કરે તેવી માગ કરી છે.