Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યોગ એટલે ખરેખર શું?

યોગ એટલે ખરેખર શું?

12 June, 2019 11:15 AM IST |
રુચિતા શાહ - રોજેરોજ યોગ

યોગ એટલે ખરેખર શું?

યોગનું મહત્વ

યોગનું મહત્વ


રોજેરોજ યોગ

તમે યોગા કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? (સૌથી પહેલાં યોગા નહીં, પણ યોગ સાચો શબ્દ છે અને એ એમ જ બોલાવો જોઈએ) યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને વ્યાપક છે. ‘યુજ’ ધાતુમાંથી બનેલા આ શબ્દનો અર્થ છે યુનિયન, જોડાણ. પોતાની સાચી ઓળખને પામવી અને એની સાથે જોડાવું. યોગયાત્રાના પહેલા જ દિવસે આજે યોગની કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ વિશે વાત કરીએ...



મહર્ષિ પતંજલિની દૃષ્ટિએ


યોગના સૌથી પ્રાચીન એવા ૧૯૬ સૂત્રના ‘શ્રી પાતંજલ યોગ સૂત્ર’ નામના ગ્રંથમાં માત્ર ત્રણ જ શબ્દોમાં યોગની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. ‘ફાધર ઑફ મૉડર્ન યોગા’ તરીકે ઓળખાતા પતંજલિ ઋષિએ સાયન્ટિફિક ફૉમ્યુર્લાની જેમ શૉર્ટ ઍન્ડ સ્વીટ સૂત્રો દ્વારા યોગને પામવા માટેનાં સીક્રેટ્સ શૅર કર્યાં છે. બીજા જ સૂત્રમાં શ્રી પતંજલિ કટ ટુ કટ શબ્દોમાં યોગની વ્યાખ્યા કરતાં કહે છે, ‘યોગ ચિત્તવૃત્તિ નિરોધ:’. મનની વૃત્તિઓનો નિરોધ કરવો એટલે યોગ. ચિત્તની વૃત્તિઓ એટલે સરળ ભાષામાં મનમાં સતત ચાલતા વિચારો, કલ્પનાઓ, અપેક્ષાઓ દ્વારા ઉત્પન્ન થતી તમામ હલચલોને રોકવી એ યોગ. આ ઉતાર-ચડાવથી જ આપણને સુખ, દુ:ખ, ઈર્ષ્યા, અભિમન વગેરે જાગતાં હોય. ચિત્તને, તમારા મનને જે વાસ્તવિક નથી એની અંદર ઉલઝાવેલું રાખે એ વૃત્તિ. એ સારી પણ હોય અને ખરાબ પણ હોય. આ વૃત્તિઓને ચિત્ત તરફ આવતાં રોકવું એ યોગ.

શ્રીકૃષ્ણની દૃષ્ટિએ


શ્રીમદ્ ભાગવતગીતામાં યોગની બે પ્રચલિત વ્યાખ્યા છે. ‘યોગ : કર્મશું કૌષલમ.’ એટલે કે કુશળતાપૂર્વક, વિચક્ષણતાપૂર્વક તમારું કામ કરવું એ યોગ છે. તમે તમારું કામ પૂરેપૂરા ફોકસ થઈને સારામાં સારી રીતે કરો એ યોગ. સો સિમ્પલ!

બીજી વ્યાખ્યા છે, ‘સમત્વમ યોગ ઉચ્યતે’ એટલે કે સુખ અને દુ:ખ, સારા અને ખરાબ, તડકો અને છાયો એમ તમામ સંજોગોમાં સંતુલિત રહેવું, મનને વિચલિત ન થવા દેવું, મનને સમતામાં રાખવું એ યોગ છે.

કથોપનિષદ : ૧૦૮ ઉપનિષદમાં ત્રીજા નંબર પર આવતું અને મહત્વનું ઉપનિષદ ગણાતા કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ.’ એટલે કે આ દુનિયામાં તમામ દુ:ખ અટેચમેન્ટ એટલે કે આસક્તિને કારણે છે. આસક્તિ જન્મે છે ઇન્દ્રિયોથી. આ ઉપનિષદની દૃષ્ટિએ યોગ એટલે ઇન્દ્રિયોનું ફોકસ બહારથી આત્મા તરફ લઈ જવું.

યોગ વસિષ્ઠ

હિન્દુ પરંપરાના ૬ ભાગમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. એટલે કે યોગ એક એવી પદ્ધતિ છે જે મગજને શાંત કરવાનું કામ કરે છે. મનને સમજીને આવડતપૂર્વક એને જ્ઞાન સાથે પોતાના કન્ટ્રોલમાં લેવાની પદ્ધતિને આ ગ્રંથકાર યોગ તરીકે મૂલવે છે.

આ સિવાય પણ અનેક અન્ય ગ્રંથો સહિત શ્રી પાતંજલ યોગસૂત્ર પર કૉમેન્ટરી લખનારા મહાભારતના રચયિતા મહર્ષી વ્યાસથી લઈને સ્વામી વિવેકાનંદ, બીકેએસ ઐયંગર, સ્વામી કુવલયાનંદ જેવા સેંકડો જુદા-જુદા કાલખંડમાં થયેલા વિદ્વાન યોગીઓએ યોગની વ્યાખ્યા કરી છે. આમાંથી એકેય યોગીઓએ યોગ એટલે આસન એવું નથી કહ્યું. યોગના વિવિધ ગ્રંથો અને રિલાયેબલ પુસ્તકોમાં યોગનાં વિવિધ અંગોમાં આસનને સ્થાન આપ્યું છે, પરંતુ આસન જ યોગ છે એ વાસ્તવિકતા નથી. યોગ મહદ રૂપે શરીર સાથે મનનું વિજ્ઞાન છે અને એ જ વાત સતત યોગના આદ્યપિતા મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવી છે. આગળ કહ્યું એમ, ચિત્ત એટલે કે

મનની હલચલ પર કાબૂ મેળવવા માટે આ મહર્ષિએ અભ્યાસ એટલે કે પ્રૅક્ટિસ, વૈરાગ્ય અને ઈશ્વર પ્રણીધાન એટલે ઈશ્વરને સમર્પિત થઈ જવું એ ત્રણ રસ્તા આપ્યા. અભ્યાસમાં તેમણે ૮ અંગની વાત કરી, જેમાં ચોથું અંગ આસન છે.

આખી વાતનો સાર એટલો જ કે આસન એ યોગનો એક ખૂબ નાનકડો હિસ્સો છે. યોગની સાચી વ્યાખ્યા આસનોથી ખૂબ વિશાળ અને વિસ્તૃત છે. બેશક, આસનોને યોગ્ય રીતે અને નિયમિત ધોરણે કરવામાં આવે તો એ ખૂબ ઉપયોગી છે અને અનેક શારીરિક, માનસિક લાભ આપે જ છે.

પગની કાર્યક્ષમતા વધારવાથી લઈને પેટનો ગૅસ દૂર કરવા સુધી ઉપયોગી છે ત્રિકોણાસન

આ વર્ષે આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીના ઍનિમેશનવાળા વિવિધ યોગ પોશ્ચર સાથેના વિડિયો વાઇરલ થયા છે, જેમાં પહેલો વિડિયો હતો ત્રિકોણાસનનો.

આ આસન કરો ત્યારે જે પોશ્ચર હોય છે એમાં ત્રણ ખૂણા દેખાય છે અને ત્રિકોણ જેવો આકાર બનતો હોવાથી એને ત્રિકોણાસન તરીકે ઓળખવામાં આવે છે.

લાભ ઘણા : આ આસનના લાભ વિશે ૪૫ વર્ષથી ઐયંગર યોગ કરતા યોગગુરુ બિરજુ મહેતા કહે છે, ‘ત્રિકોણાસન તમારી કમરની નીચેના ભાગમાં લચીલાપણું લાવવા માટે ખૂબ ઉપયોગી છે. ત્રિકોણાસન જો સાચી રીતે કરે તેમને આર્થ્રાઇટિસની સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે. તમારા હિપ્સ મસલ જો ટાઇટ હોય તો એેને લૂઝ કરવાનું કામ આ આસન કરી આપશે. આ આસનમાં સ્થિર થાઓ ત્યારે તમારી કરોડરજ્જુ લેન્ધન થતી હોય છે એટલે કે એમાં ખેંચાણ આવવાથી એ વિસ્તૃત થતી હોય છે જેથી પીઠમાંના દુખાવાને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. તમારા પેટના મસલ્સ પણ ઓપન થવાથી ગૅસની સમસ્યા દૂર થાય છે. ઘૂંટણમાં દુખાવો હોય એવા લોકોને પણ આ આસન મદદરૂપ નીવડશે. પગ અને સાથળના મસલ્સને ટોનિંગ કરવાનું કામ પણ આ આસન કરે છે. માત્ર યોગ આસનોમાં જ નહીં, ઘણાં મેડિકલ જર્નલમાં પણ લૉન્ગ ડિસ્ટન્સ રનર માટે આ આસન રેકમેન્ડ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ શ્રેષ્ઠ આસન છે. પગની સમસ્યા હોય એવા તમામ લોકોને આ આસન ઉપયોગી છે. જોકે વધુ ઉંમર હોય, બૅલૅન્સનો પ્રૉબ્લેમ હોય તો સપોર્ટ લઈને આ આસન કરવું. દીવાલનો કે ટેબલનો સપોર્ટ લઈને આ આસન કરવું.’

એક્સપર્ટ ઍડ્વાઇઝ : સચોટ પોશ્ચ ર માટે જાણીતા ઐયંગર યોગના પોતાના વર્ષોના અનુભવ પરથી ત્રિકોણાસન સંદર્ભે બિરજુ મહેતા કહે છે, ‘આ આસન કરો ત્યારે બે પગ વચ્ચેનું અંતર જેટલું વધુ એટલો લાભ વધુ, કારણ કે એટલી તમારી કરોડરજ્જુ લંબાશે. સામાન્ય રીતે બે પગ વચ્ચે ત્રણ ફુટનું અંતર રાખવામાં આવતું હોય છે. બીજું, આ આસન કરતી વખતે તમારું માથું, તમારા બટક્સ એટલે કે નિતંબ એક જ લાઇનમાં હોય એ જરૂરી છે. ઘણા લોકો માથું આગળ લઈ લે છે જે સુધારવું જોઈએ.’

ગળાને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ દૂર કરવાથી લઈને કૉન્ફિડન્સ વધારવો હોય તો કરો ઉજ્જયી પ્રાણાયામ

આ પ્રાણાયામને ઍની ટાઇમ પ્રાણાયામ કહેવાય છે. ઉદ્ એટલે ફોર્સ અથવા ઝડપ અને જય એટલે વિજય, સફળતા. વિજયઘોષ એટલે ઉજ્જયી. વિવિધ યોગ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા અને કે. જે. સોમૈયા કૉલેજમાં યોગ વિભાગના વડા ડૉ. દીપક બગડિયા કહે છે, ‘ઉજ્જયી પ્રાણાયામ કરે એ જીતે. ઉજ્જયી પ્રાણાયામ કરનાર વ્યક્તિને દરેક સંજોગોમાં સફળતા મળે એવું કહેવાય છે. આપણે પાણી ગળતા હોઈએ ત્યારે જે રીતે કંઠને સહેજ સંકુચિત કરીએ છીએ એવું સંકુચન ગળામાં કરીને શ્વાસ લેવાનો હોય છે. શ્વાસ લેતી વખતે સહેજ ઘર્ષણનો અનુભવ થશે. આ પ્રાણાયામ ક્યારેય પણ કરી શકાય છે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે. ગળાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ પ્રાણાયામથી સારું થઈ જ જશે. કંઠમાં સંકુચન કરવાને કારણે થતા ઘર્ષણથી તમારો વોકલ કોર્ડ અને થાઇરૉઇડનો એરિયા ઉત્તેજિત થશે. એ જગ્યાએ બ્લડ-સર્ક્યુલેશન સુધરશે અને સ્વાભાવિક રીતે એની કાર્યક્ષમતા પણ વધશે. સિંગર હોય તેમના અવાજને સુધારવા માટે આ પ્રાણાયામ મહત્વપૂર્ણ છે. અત્યારે ચોમાસું બેસી રહ્યું છે અને સીઝન-ચેન્જમાં ગળું પકડાઈ જવાની સમસ્યા સામાન્ય છે જેને માટે ઉજ્જયી પ્રાણાયામ મહત્વપૂર્ણ છે. તમારા રેસ્પિરેટરી પાથને આ પ્રાણાયામ અંદરથી મસાજ આપે છે. આ પ્રાણાયામ કરવાથી તમારો સેલ્ફ-કૉન્ફિડન્સ વધે. મારો એક સ્ટુડન્ટ કૉલેજમાં લેક્ચરર છે. કોઈ વાર કોઈ વિષય પર તેણે લેક્ચર આપવાનું હોય ત્યારે ઉજ્જયી પ્રાણાયામનો વીસેક રાઉન્ડ આપીએ તો એનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હોય એવી ફીલ પહોંચતી. શરદી, ખાંસી અને ગળામાં ખરાશ હોય અને ઍન્ટિબાયોટિક આપો તો કદાચ સાત દિવસે સારું થાય, પણ જો દિવસમાં ત્રણ વાર વીસ-વીસ રાઉન્ડ ઉજ્જયી પ્રાણાયામ કરવાની પ્રિસ્ક્રિપ્શન આપો તો ત્રણ જ દિવસમાં ફરક પડ્યાના કિસ્સા મેં જોયા છે.’

આ પણ વાંચો : Yoga Benefits : 'અનુલોમ-વિલોમ' દરરોજ 10 મિનિટ કરવાથી થશે આ લાભ

ઉજ્જયી પ્રાણાયામ શરીરના ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ઘર્ષણને કારણે શરીરમાં અંદર રેસ્પિરેટરી હિસ્સામાં ગરમાટો ઉત્પન્ન કરે છે. એટલે જ આસનોની પ્રૅક્ટિસ પહેલાં વૉર્મઅપ તરીકે પણ આ પ્રાણાયામ લાભ કરશે.

(ધ્યાન રહે: અહીં માત્ર આસનો વિશેની ઇન્ફર્મેશન જ આપી છે અને વિધિ વિશે નથી લખવામાં આવ્યુ એની નોંધ લેવી. કોઈ પણ આસન તમારી હેલ્થ કન્ડિશન અને કોઈ અનુભવી યોગશિક્ષકની નિગરાનીમાં જ કરવું.)

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 11:15 AM IST | | રુચિતા શાહ - રોજેરોજ યોગ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK