આરએસએસના વડા પ્રધાન ભારતમાતા સાથે જૂઠું બોલી રહ્યા છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી
(જી.એન.એસ.) દેશમાં આ દિવસોમાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સાથે ડિટેન્શન સેન્ટર પર ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવે છે કે ઘૂષણખોરોની ઓળખ કર્યા બાદ ડિટેન્શન સેન્ટરમાં તેમને રાખવામાં આવશે. આ મામલે ભૂતપૂર્વ કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું કે આરએસએસનો વડા પ્રધાન ભારતમાતા સાથે જૂઠું બોલે છે. મોદીએ કહ્યું હતું કે દેશના મુસલમાનોને સીએએ અને એનઆરસીને લઈને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. લોકોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે કે દેશના મુસલમાનોને મુસ્લિમ ડિટેન્શન કૅમ્પમાં મોકલી દેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ બધું જૂઠું છે... જૂઠું છે... જૂઠ છે. રાહુલે એને લઈને મોદી પર નિશાન સાધ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવે છે જેમણે ટ્રાઇબ્યુનલ કોર્ટ વિદેશી જાહેર કરી દે છે અથવા એવા વિદેશીઓને રાખવામાં આવે છે જેમણે કોઈ ગુનામાં સજા કાપી હોય અને પોતાના દેશને ડિપોર્ટ કરવાની રાહ જોઈ રહ્યા હોય. વિદેશ કાયદા, ૧૯૪૬ના સેક્શન ૩ (૨) (સી)માં કેન્દ્ર સરકાર પાસે ભારતમાં અવૈધ રીતે રહેતા વિદેશી નાગરિકોને તેમના દેશ મોકલવાનો અધિકાર છે.
જુઠ્ઠાઓના શહેનશાહ છે કૉન્ગ્રેસના નેતા: બીજેપીનો પ્રહાર
દરમ્યાન બીજેપીના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું હતું કે તમને ભારતમાતાની યાદ આવે એ પણ આશ્ચર્ય છે, કારણ કે તમારા માટે તો એક જ માતા છે. સાપ-સીડીની તમે જે રમત રમી રહ્યા છો એમાં ઊંધા મોઢે પછડાવાના છો. સીએએ, એનઆરસી અને એનપીઆર પર તમે ભ્રમ ઊભા કરી રહ્યા છો. તમે અકસ્માતે નેતા થઈ ગયા છો.
તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસે દેશને ભ્રમમાં નાખ્યો છે કે આખા દેશમાં ડિટેન્શન સેન્ટર બની રહ્યાં છે. કોઈ બચશે નહીં. આસામ વિશે તો તમામને ખબર છે કે ત્યાં ડિટેન્શન સેન્ટર છે જે કૉન્ગ્રેસ કહી રહી છે કે અમે જ બનાવ્યું છે.