ગાઝિયાબાદમાં સ્મશાનની છત પડી, ૧૮ લોકોનાં મોત
ગાઝિયાબાદના મુરાદનગરમાં રેસ્કયુ ઑપરેશન કરતા એનડીઆરએફના જવાનો. (તસવીર: પી.ટી.આઈ)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગાઝિયાબાદના એક સ્મશાનમાં છત પડી જતાં લગભગ ૪૦ લોકો દબાયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે ૧૮ લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે.
ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં આવેલા સ્મશાન ઘાટની છત પડતાં અનેક લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ગાઝિયાબાદ પોલીસ અને રેસ્કયુ ઑપરેશન ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે સવારે દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે મુરાદનગર સ્થિત સ્મશાનમાં કેટલાક લોકો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હતા. વરસાદને કારણે કેટલાક લોકો છત નીચે ઊભા હતા, આ દરમ્યાન છત પડી હતી. જેમાં લગભગ ૪૦ લોકો દબાઈ ગયા હોવાનું કહેવાય છે. જ્યારે ૧૮ લોકોનાં મોતના સમાચાર મળી રહ્યા છે, ઉપરાંત ૧૫ લોકોને બહાર કાઢી હૉસ્પિટલમાં ખસેડાયા છે.