પુલવામા એન્કાઉન્ટર : હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુ સહિત ચાર આતંકવાદી ઠાર
આતંકના સફાયાની તૈયારી : કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર દરમ્યાન ભારતીય લશ્કરના જવાનો. તસવીર : પી.ટી.આઈ.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુને ઠાર કર્યો છે. આ સાથે અવંતિપોરાના શારશાલી અને બેગપુરા ખાતે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.
શરશાલીમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા છે. જેની ઓળખ હજુ થઈ નથી, ત્યાં અવંતિપોરાના બેગપુરા વિસ્તારમાં સુરક્ષા દળોએ હિઝબુલ કમાન્ડર સહિત બે આતંકીઓને ઠાર કર્યા છે.
ADVERTISEMENT
આ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું છે કે પુલવામાના શારશાલી ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરો અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
રિયાઝ નાયકુ ઉપર ભારતીય લશ્કરે ૧૨ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે ખીણમાં લાંબા સમયથી ડર ફેલાવી રહ્યો હતો. બુરહાન વાની પછી તે આતંકવાદનો નવો પોસ્ટર બૉય બન્યો હતો. રિયાઝ બુહરાન વાનીના કોર ગ્રુપનો સભ્ય હતો અને બુરહાન વાનીને ઠાર કર્યા બાદ તેને ટોચનો કમાંડર બનાવવાની ચર્ચા હતી. ગત વર્ષે તેણે ધમકી સાથેનો એક વિડિયો જાહેર કર્યો હતો તેમ જ વિડિયોમાં જેલ સ્ટાફ ઉપર હુમલો કરવાની ધમકી આપી હતી.