કોરોનાના જોખમ વચ્ચે પણ રેસ્ટોરાં, ઇટરીઝ ખુલ્લાં રહેશે
મુંબઇ શહેરમાં રેસ્ટોરાં ચાલુ રાખવાની ગૂંચવણ દિવસો સુધી યથાવત્ રહ્યા બાદ, બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ રેસ્ટોરાં, કાફે અને ઇટરીઝને તેમની મૂળ ક્ષમતા કરતાં અડધી (૫૦ ટકા) ક્ષમતાએ કાર્યરત રહેવાની અનુમતી આપી છે. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે, રેસ્ટોરાં લોકોને બેસવાની વ્યવસ્થા એ રીતે કરવી જોઇએ, કે જેથી બે વ્યક્તિ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રહે. રેસ્ટોરાં એસોસિએશને તેમની પાસેથી શું અપેક્ષા સેવવામાં આવે છે, તે બાબતે સ્પષ્ટતા કરવાની રાજ્ય સરકારને અપીલ કરી હતી, જેને પગલે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.
એસોસિએશનના સભ્ય આદર્શ શેટ્ટીએ જણાવ્યા મુજબ, “અમે સમગ્ર મુદ્દા અંગે સ્પષ્ટતા મેળવવા માગતા હતા, કારણ કે અગાઉના કોઇપણ પરિપત્રમાં રેસ્ટોરાં અને ઇટરીઝનો ઉલ્લેખ ન હતો. અમે પણ લોકોનો જમાવડો ઓછો કરવામાં અમારું યોગદાન આપવા માગીએ છી, આથી અમે ફક્ત વૈકલ્પિક દિવસોએ જ રેસ્ટોરાં ખુલ્લી રાખીશું.” આમ, કયો માર્ગ ક્યારે ખુલ્લો રહેશે તે અંગે વોર્ડ ઓફિસના પરિપત્ર અનુસાર રેસ્ટોરાં વૈકલ્પિક દિવસોએ ચાલુ રહેશે.