સ્મશાનના ધુમાડાથી શિવાજી પાર્કના રહેવાસીઓ પરેશાન થયા
શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં આવતા લોકો પોતાના ગ્લવ્ઝ અને માસ્ક રેસિડેન્શિયલ બિલ્ડિંગની નજીક જ મૂકીને જતા રહે છે. તસવીર : આશિષ રાજે
જી-નૉર્થ વૉર્ડ (દાદર વિસ્તાર)માં કોવિડ-૧૯ના કેસોની સંખ્યામાં ભારે વધારો થવા સાથે મૃત દરદીઓના સંખ્યાબંધ મૃતદેહોને શિવાજી પાર્ક સ્મશાનમાં લઈ જવાઈ રહ્યા છે. જોકે મૃતદેહોની સંખ્યામાં થયેલો તીવ્ર વધારો સ્થાનિક રહીશોના આરોગ્ય માટે જોખમી બન્યો છે અને તેમણે સ્મશાનની ચીમનીમાંથી નીકળતા કાળામેશ ધુમાડા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
સ્મશાનની સામે આવેલા રિપલ બિલ્ડિંગમાં રહેતાં 50 વર્ષનાં રજિની સોરાપે જણાવ્યું હતું કે ‘છેલ્લાં 35 વર્ષોથી અહીં રહેતાં હોવા છતાં પરિસ્થિતિ આટલી ગંભીર કદીયે નહોતી. ચીમનીમાંથી આખો દિવસ કાળો ધુમાડો નીકળ્યા જ કરે છે અને પવનની દિશાને કારણે દુર્ગંધ અને રજકણો સીધાં અમારાં ઘરોમાં પ્રવેશે છે. એના કારણે અમારે આટલી ગરમીમાં પણ આખો દિવસ અમારી બારીઓ બંધ રાખવી પડે છે.’
બિલ્ડિંગના અન્ય એક રહેવાસી કિરણ સાલ્વી (65)એ જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ના દરદીઓના વધતાં મોતને કારણે સ્મશાન સતત ચાલુ રહે છે. મળસ્કે પાંચ વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી કાળો ધુમાડો નીકળતો રહે છે અને આ રાખ કોવિડના દરદીઓના મૃતદેહોની હોવાથી અમને અમારા આરોગ્યની ચિંતા થાય છે. વળી મરનાર દરદીઓના સંબંધીઓ અમારા ગેટની બહાર રાહ જોતા હોય છે અને તેમના માસ્ક અને ગ્લવ્ઝ રોડ પર ફેંકી દે છે. બીએમસીએ આ વિસ્તારને સૅનિટાઇઝ કરવો જોઈએ. રહેવાસીઓને કરિયાણું ખરીદવા માટે બહાર નીકળતાં પણ ડર લાગે છે.’