મુંબઈ : હવે ભાડાનાં ઘર મેળવવામાં સરળતા
વિદ્યાવિહારમાં આવેલી નીલકંઠ કિંગડમ ઇમારતની માલિકી કલેક્ટરની છે.
કલેક્ટરની જમીન પર બંધાયેલી રહેણાક સોસાયટીઓમાં ઘર ભાડે આપવાનું કાર્ય સરળ કરવાના મામલે એક મહત્ત્વનું પગલું ભરતાં રાજ્ય સરકારે અધિકારી પાસેથી ફરજિયાત એનઓસી મેળવવાની પ્રક્રિયા અને લીવ ઍન્ડ લાઇસન્સ ઍગ્રીમેન્ટ પરની ફી નાબૂદ કરી છે. આ પગલાથી રેન્ટલ માર્કેટમાં ઘરની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષથી સ્થિર થઈ ગઈ હતી એ હવે વધી જશે.
હાઉસિંગ ક્ષેત્રના નિષ્ણાતોએ ૭ જાન્યુઆરીના જાહેરનામાને આવકારતાં (જેની એક નકલ ‘મિડ-ડે’ પાસે છે) જણાવ્યું હતું કે મુંબઈ શહેર અને એના પરાં વિસ્તારોમાં કલેક્ટરની જમીન પર આશરે ૨૫૦૦ રહેણાક ઇમારતોમાં લગભગ ૧૦,૦૦૦ ફ્લૅટ છે. બાંદરા, વર્સોવા, વિદ્યાવિહાર, કફ પરેડ, નરીમાન પૉઇન્ટ, મલબાર હિલ, બૅકબે રેક્લેમેશન, વડાલા, ચર્ચગેટ અને પરેલ સહિતના વિસ્તારોમાં વિશાળ પ્લૉટ્સ કલેક્ટરના હસ્તક છે.
ADVERTISEMENT
મહાસેવા (મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર અસોસિએશન)ના સ્થાપક રમેશ પ્રભુએ જણાવ્યું હતું કે ‘આવાં બિલ્ડિંગોમાં ફ્લૅટ ભાડે આપવાની પ્રક્રિયા ભારે કંટાળાજનક અને સમય માગી લેનારી હતી, કારણ કે એનઓસી મેળવતાં સામાન્ય રીતે ચારથી છ મહિના નીકળી જાય છે. કલેક્ટર કચેરીના વારંવાર ધક્કા, લીવ ઍન્ડ લાઇસન્સના દસ્તાવેજો પર સ્પષ્ટતા માગતી સ્ટાફ દ્વારા થતી બિનજરૂરી પૂછપરછ, વસૂલવામાં આવતાં ભાડાં વિશે સ્પષ્ટતા જેવી બાબતોને કારણે ઘણા લોકો આવાં સ્થળોએ આવેલાં તેમનાં ઘર ભાડે આપવાનું ટાળતા હતા.’
‘આવી સોસાયટીઓમાં ઘર ધરાવનાર લોકો કાં તો ભૂતપૂર્વ અધિકારીઓ હોય છે અથવા તો રાજ્ય સરકારના કર્મચારી હોય છે જેમણે આવી મિલકતમાં રોકાણ કર્યું હોય. જોકે આવી જટિલ પ્રક્રિયાને કારણે તેઓએ પોતાની મિલકત ભાડે ન આપી હોય. આ પરિપત્ર રેન્ટલ સેગમેન્ટનાં દ્વાર ખોલશે અને મ્હાડા તથા સીઆઇડીસીની માલિકીની જમીનો પર આવેલી મિલકતો પર વ્યાપક પ્રભાવ પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : મુંબઈ : હત્યા કર્યા પછી દીકરાએ દરગાહમાં જઈને અલ્લાહની માફી માગી
નિષ્ણાતનો મત
નૉન-બ્રોકિંગ રિયલ એસ્ટેટ રિસર્ચ કંપની લાઇસિઝ ફોરાઝના મૅનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂરના જણાવ્યા અનુસાર આ પગલું રિયલ એસ્ટેટના ભાવોને તર્કસંગત કરવામાં મદદરૂપ બનશે. પોષણક્ષમ હાઉસિંગ હજી વાસ્તવિકતાથી દૂર છે ત્યારે સરકાર ફ્લૅટ ભાડે આપવાની પ્રક્રિયા સરળ કરવા માટે સજ્જ છે.