કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગના વેપારમાં જોડાવાની કોઈ યોજના નથી: રિલાયન્સ
ફાઈલ તસવીર
ટાવરોમાં તોડફોડ મામલે રિલાયન્સે હાઈ કોર્ટનું શરણું લીધું છે, કંપનીએ પોતાની સંપત્તિ અને સુવિધાઓના રક્ષણ માટે સરકારની દખલગીરીની માગણી કરતા હાઈ કોર્ટમાં અરજી કરી છે. કેન્દ્ર દ્વારા લાગુ પાડવામાં આવેલા નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જિયોના ટાવરોને નુકસાન પહોંચાડ્યું છે. કંપનીએ કહ્યું હતું કે અમારા ટાવર જે તોડફોડ કરી રહેલાઓને સ્થાપિત હિતો અને વ્યાવસાયિક હરીફો ઉત્તેજન આપી રહ્યાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી હતી કે એ ખેડૂતો પાસેથી ન તો સીધું અનાજ ખરીદે છે ન તો કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગના વેપારમાં છે. રિલાયન્સના નામને નવા કૃષિ કાયદા સાથે જોડીને અમારા વેપારને નુકસાન પહોંચાડવાનો અને અમને બદનામ કરવાનો ખોટો પ્રયાસ છે. કંપનીએ કહ્યું હતું કે અમે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગના વ્યવસાયમાં નથી. ખેતી માટે અમે પંજાબ, હરિયાણા કે દેશના કોઈ પણ ભાગમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જમીન ખરીદી નથી. અનાજ, મસાલા, ફળ અને શાકભાજી જેવી વસ્તુઓ અમારા સ્ટોર દ્વારા વેચાણ કરવા માટે સીધી ખેડૂતો પાસેથી નથી ખરીદતા.