રથયાત્રાઃ જગન્નાથ મંદિરમાં રથનું સમારકામ તીવ્ર ગતિએ શરૂં
Image Courtesy: Desh Gujarat
રથયાત્રાએ અમદાવાદનો કદાચ સૌથી મોટો તહેવાર છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ ભગવાનના ત્રણેય રથ હોય છે. ત્યારે હવે જગન્નાથ મંદિરમાં રથનું સમારામ આદરી દેવાયું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને આડે હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે ત્યારે પૂરજોશમાં રથની તપાસ કરાઈ રહી છે. અને સમાર કામ શરૂ કરી દેવાયું છે.
સુભદ્રાજીના રથના પૈડા બદલાશે
ADVERTISEMENT
ચાર જુલાઈએ અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તૈયારીના ભાગ રૂપે જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથની ચકાસણી કરાઈ રહી છે. 142મી રથયાત્રાને લઇને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ભગવાનના રથોનું સમારકામ ચાલી રહ્યું છે. ખાસ કરીને બહેન સુભદ્રાના રથના પૈડા બદલાઈ રહ્યા છે. આ માટે ખાસ લાકડાના પૈડા તૈયાર કરાયા છે. સુભદ્રાજીના રથના પૈડા ખરાબ થઈ જતા આ વર્ષે લાકડાના નવા પૈડા લગાવાઈ રહ્યા છે.
ત્રણ તબક્કામાં થાય છે સમારકામ
રથયાત્રામાં તમામ લોકોનું આકર્ષણ સજાવેલી ટ્રકો અને ટેબ્લો કરતા રથ વધુ હોય છે. ત્યારે રથયાત્રા દરમિયાન લાખો લોકોની મેદની વચ્ચે ભગવાનના રથ ખોટકાય નહીં તે માટે મહિના પહેલા જ તેને ખોલીને સાફ કરી રિપેર કરાતા હોય છે. ત્રણેય રથોના દરેક હિસ્સાને ખોલીને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સમારકામ પણ ત્રણ જુદા જુદા તબક્કામાં થાય છે. પહેલા રથને ખોલીને ચેક કરવામાં આવે છે, બાદમાં તેના પર રંગ રોગાન થાય છે. અને છેલ્લે ત્રણેય રથને સજાવવામાં આવે છે.
રથમાં છે સ્ટિયરિંગ
મળતી માહિતી પ્રમામે નિર્ધારિત સમય સુધી તમામ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવશે. રથના સ્ટિયરિંગની પણ ખાસ ચકાસણી કરી દેવાઈ છે. 1992માં પહેલી વાર રથમાં સ્ટિયરિંની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પૂરીની રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રાને સૌથી મોટી ગણવામાં આવે છે. તેને શાંતિપૂર્ણરીતે પાર પાડવા પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવે છે.