રથયાત્રાઃ આવતા વર્ષે પહેલીવાર થશે ત્રણ મામેરા
બે દિવસ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાને લઈ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. જો કે આ વર્ષ અંતિમ વર્ષ હશે જ્યારે ભગવાન જગન્નાથના બે મામેરા થયા છે. આવતા વર્ષથી રથયાત્રા નિમિત્તે ત્રણ મામેરા યોજાશે. રથયાત્રા સરસપુર પહોંચે ત્યારે મામેરું ભરવામાં આવે છે. મામેરાની પ્રથા 50 વર્ષથી ચાલતી આવી છે. જ્યારે આ વર્ષે જગન્નાથ મંદિરમાં પણ શાહી મામેરું થયું હતું. ત્યારે આગામી વર્ષ એટલે કે 2020થી સાધુ સંતો ત્રીજુ મામેરું કરશે.
સરસપુરની વાસણ શેરીમાં આવેલા રણછોડરાય મંદિરના સાધુ સંતો આવતા વર્ષે ત્રીજુ મામેરું ભરશે. રણછોડરાયજીનું આ મંદિર લગભગ 200 વર્ષ જુનુ છે. એટલે અહીંના સાધુ સંતો આગામી વર્ષથી રથયાત્રામાં મામેરુ કરશે. વાસણશેરીમાં ભલા ભગતની જગ્યામાં આવેલા રણછોડ રાયજીના મંદિરમાં વધુ એક મામેરું યોજાશે. આ અંગે માહિતી આપતા મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજનું કહેવું છે કે આ મંદિર 200 વર્ષ જુનુ છે. લગભગ 50 વર્ષ પહેલા વાસુદેવજી મહારાજે મામેરાની જવાબદારી સ્વીકારી હતી. આ પૌરાણિક મંદિર સરસપુરના મેઈન રોડથી અંદર છે. એટલે લગભગ 50 વર્ષ પહેલા સરસપુર ચાર રસ્તા પાસે આવે નવા રણછોડરાયજી મંદિરથી મામેરાની વિધિ થતી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળું કરવા માટે 15થી 20 વર્ષનું વેઈટિંગ ચાલે છે. જૂની પરંપરા મુજબ રથ સરસપુર આવે ત્યારે ભગવાનનું સ્વાગત માત્ર ફૂલહાર અને કંકુ-ચોખાથી કરવામાં આવતું હતું. હવે 2020થી ભગવાનને ત્રણ મામેરા થશે.