ઉત્તર પ્રદેશના સંભલમાં દુષ્કર્મ બાદ જીવતી સળગાવેલી પીડિતાનું 9 દિવસ બાદ
પ્રતિકાત્મક તસ્વીર
(જી.એન.એસ.) તેલંગણની ૨૨ વર્ષની પશુ ચિકિત્સક યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં દુષ્કર્મ બાદ જીવતી બાળી મૂકવામાં આવેલી પીડિત સગીરાએ ગઈ કાલે દિલ્હીમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. પોલીસના જણાવ્યાં મુજબ ૯ દિવસ પહેલાં પાડોશી યુવકે દુષ્કર્મ બાદ પીડિતા પર કેરોસીન છાંટીને આગ લગાવી હતી. પીડિતાને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન આજે તેનું મોત થયું.
અત્રે જણાવવાનું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ધ્યાનમાં આવતા તેમણે આ કેસને ગંભીરતાથી લીધો અને ત્યાર બાદ પોલીસે ઘટનાના એક દિવસ બાદ જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. હકીકતમાં સંભલના નખાસા પોલીસ સ્ટેશનની હદના સિરસીની એક સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને જીવતી બાળી મૂકવામાં આવી હતી. કિશોરીને દાઝેલી હાલતમાં જિલ્લા હૉસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં કેસની ગંભીરતા જોતાં તેને દિલ્હી રિફર કરાઈ હતી. આ બાજુ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગંભીરતાથી લેતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.