આ સપ્તાહે ચીફ જસ્ટિસ ગોગોઈ બાકીના ચાર કેસમાં ચુકાદો આપે એવી સંભાવના
રંજન ગોગોઈ
અયોધ્યાના મામલે પુરાવાના આધારે આદર્શ ચુકાદો સંભળાવ્યા પછી હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અન્ય ચાર મોટા મામલાઓમાં ચુકાદો સંભળાવશે. જોકે અત્યાર સુધી અયોધ્યા મામલાને જ સૌથી મોટો માનવામાં આવતો હતો, પણ આ હવે ચુકાદો આવી ગયા પછી અન્ય મામલા પર ચુકાદાની રાહ જોવાઈ રહી છે. આગામી સપ્તાહે આ બાકીના ચાર કેસમાં પણ અંતિમ ચુકાદાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ જ મહિને ૧૭ નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થવાના છે અને એ પહેલાં તેઓ હવે બાકી રહેલા દિવસોમાં આ ૪ મામલે ચુકાદો આપવાના છે. હવે તેમની નિવૃત્તિની આડે માત્ર ૪ દિવસ બાકી રહ્યા છે. આ દરમ્યાન તેમણે ઐતિહાસિક ચુકાદા આપવાના છે. ૧૧ અને ૧૨ નવેમ્બરે કોર્ટ ફરીથી બંધ રહેશે. ત્યાર બાદ તેમની પાસે ૪ દિવસનો સમય છે, કારણ કે ૧૭મી નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે એટલે એ દિવસે કોઈ નિર્ણય સંભળાવે એવી કોઈ સંભાવના નથી. એ દિવસે માત્ર નિવૃત્તિની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે.
અયોધ્યાવિવાદ મામલા બાદ બાકી રહેલા અન્ય ચાર મોટા મામલાઓમાં રફાલ વિમાન ડીલ, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, રાહુલ ગાંધીનો ચૌકીદાર ચોર હૈ અને સીજેઆઇ ઑફિસને આરટીઆઇના કાયદા હેઠળ લાવવાના મામલાનો સમાવેશ છે.