દિલ્હી-કલકત્તા વચ્ચે પાનીપત : અહીં આપેલાં પાંચ તથ્યો ચકાસી જુઓ
કારણ-તારણ
સત્ય એક. સારદા ચિટ ફન્ડ નામની કંપની ૨૦૧૩ના એપ્રિલ મહિનામાં ફડચામાં ગઈ હતી. કંપની ફડચામાં ગઈ એ પછીથી દુનિયાને જાણ થવા લાગી કે એ તો મસમોટું કૌભાંડ હતું. કૌભાંડ બહાર આવ્યું એ પછીથી કૌભાંડના સ્વરૂપની વિગતો બહાર આવવા લાગી હતી અને એ જ સમયે આપણા અવતારપુરુષે દેશના ઉદ્ધાર માટે દિલ્હી ભણી નજર કરી હતી. ત્યારે કૌભાંડની ભાગ્યે જ કોઈ વિગતો બહાર આવવાની બાકી રહી હતી. અવતારપુરુષે અને તેમના હનુમાન અમિત શાહે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે કોઈને છોડવામાં નહીં આવે એવો હુંકાર કર્યો હતો. પારદર્શક વહીવટ માટેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે તેમણે માત્ર કૌભાંડગ્રસ્ત પશ્ચિમ બંગાળ અને આસામમાં જ નહીં, બાકીના ભારતમાં પણ સારદા ચિટ ફન્ડના આરોપીઓને છોડવામાં નહીં આવે એવો રાષ્ટ્ર સાથે વાયદો કર્યો હતો.
ADVERTISEMENT
આજે આ વાતને પાંચ વરસ થઈ ગયાં છે. પોણાપાંચ વરસથી તો દેશભક્ત અવતારપુરુષનું શાસન છે. કલકત્તાના પોલીસ-ચીફ રાજીવ કુમારની ધરપકડ કરવા ઘ્ગ્ત્ના અધિકારીઓએ જવું પડ્યું એ બતાવે છે કે દેશભક્તિના યુગમાં ૫૭ મહિના પછી પણ હજી તપાસ થવાની બાકી છે. પુરાવાઓ હજી વેરવિખેર છે અને કેસની તપાસ કરનાર ઘ્ગ્ત્ના કબજામાં પણ નથી. ૫૭ મહિના પછી પણ હજી તો પુરાવાઓ કબજે કરવામાં આવ્યા નથી. એટલે તો રાજીવ કુમાર પર ચાવીરૂપ પુરાવાઓનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સત્ય બે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીંના પ્રચાર વખતે અને એ પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં જ્યારે પણ જે કોઈ ચૂંટણી યોજાઈ છે ત્યારે કહેવામાં આવતું હતું સારદા કૌભાંડમાં દેશના દુશ્મન એવા કેટલાક બંગલાદેશી મુસલમાનો સંડોવાયેલા છે અને સારદાના ચાંઉ કરી જવાયેલા પૈસા ત્રાસવાદીઓ સુધી પહોંચ્યા છે. બાપ રે! આવા દેશદ્રોહીઓને જીવતા છોડાય! આમ છતાં આવા ગંભીર મામલામાં ૫૭ મહિના પછી તો હજી પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને પુરાવાઓ એક જગ્યાએ એકઠા કરવાના બાકી છે.
સત્ય ત્રણ. ૨૦૧૪ના મે મહિનામાં (જ્યારે અવતારપુરુષે શાસનની ધુરા હાથમાં લીધી) સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પહેલી નજરે એમ લાગે છે કે સારદા કૌભાંડ બહારના દેશોના લોકોની સંડોવણીવાળું જાગતિક કૌભાંડ છે. સારદા ચિટ ફન્ડનું સ્વરૂપ જોતાં એમ લાગે છે કે કૌભાંડ કરનારાઓ પૉલિટિકલ કનેક્શન્સ ધરાવે છે. સારદાનો ઉપયોગ મની-લૉન્ડરિંગ અને ટેરર ફન્ડ માટે કરવામાં આવ્યો હોય એવી પણ શક્યતા છે. માટે સારદા ચિટ ફન્ડની તપાસ CBI કરે અને પશ્ચિમ બંગાળની પોલીસના હાથમાંથી તપાસનો ચાર્જ લઈ લેવામાં આવે. પૉલિટિકલ કનેક્શન્સ, મની-લૉન્ડરિંગ અને ટેરર ફન્ડ એમ ત્રણેય શબ્દો સર્વોચ્ચ અદાલતના મે-૨૦૧૪ના આદેશમાં છે.
આપણા અવતારપુરુષે દિલ્હીમાં પગ મૂક્યો એની સાથે સર્વોચ્ચ અદાલતે મોકળાશ આપી દીધી હતી. હવે CBIએ તપાસ કરવાની હતી અને CBI કેન્દ્ર સરકારની તપાસસંસ્થા છે. ભડવીર શાસક, લોકસભામાં સ્પષ્ટ બહુમતી અને સર્વોચ્ચ અદાલતે તપાસ કરવામાં આપેલી મોકળાશ. આ ઉપરાંત ટેરર ફન્ડ અને મની-લૉન્ડરિંગ જેવી દેશદ્રોહી પ્રવૃત્તિની શક્યતાની કેન્દ્ર સરકારની રજૂઆતને પણ સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી હતી.
તો પછી સવાલ એ છે કે આવા ગંભીર મામલામાં તપાસ કરવાની પૂરી મોકળાશ હોવા છતાં હજી સુધી તપાસ કેમ પૂરી નથી થઈ? ૫૭ મહિના પહેલાં પશ્ચિમ બંગાળની પોલીસને તપાસમાંથી સર્વોચ્ચ અદાલતે હટાવી દીધી છે તો પછી કલકત્તાના પોલીસ-ચીફ પાસે ચાવીરૂપ પુરાવાઓ રહ્યા જ કેવી રીતે કે જેનો નાશ કરી શકાય? ટૂંકમાં અતિગંભીર મામલામાં ૫૭ મહિના પછી હજી તો પુરાવાઓ એકઠા કરવામાં આવે છે અને એ પણ નરેન્દ્ર નોદીના રાજમાં!
ડૉ. મનમોહન સિંહનું રાજ હોય તો તો સમજી પણ શકાય.
સત્ય ચાર. સર્વોચ્ચ અદાલતનું મે-૨૦૧૪નું નિરીક્ષણ સાચું હતું કે કૌભાંડનું સ્વરૂપ જોતાં એમ લાગે છે આવું મોટું કૌભાંડ રાજકારણીઓની સંડોવણી વિના શક્ય નથી. નરેન્દ્ર મોદી, આમિત શાહ અને BJPના નેતાઓ પણ આમ જ કહેતા હતા. એક જમાનાના મમતા બૅનરજીના હનુમાન, તૃણમૂલ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નાયબ અધ્યક્ષ અને ભૂતપૂર્વ રેલવેપ્રધાન મુકુલ રૉયનું નામ સારદા કૌભાંડમાં બોલાતું હતું. બીજું એવું નામ હતું આસામના ભૂતપૂર્વ કૉન્ગ્રેસી પ્રધાન હેમંત બિશ્વ શર્માનું. ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનુક્રમે પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણીપ્રચાર કરતી વખતે આ બે નામ લેતા હતા. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તેઓ પક્ષાંતર કરીને BJPમાં નહોતા જોડાયા? અત્યારે મુકુલ રૉય અને હેમંત શર્માનાં નામ શકમંદોની યાદીમાંથી પણ હટાવી દેવામાં આવ્યાં છે. જે બે મુખ્ય શકમંદો હતા એ અત્યારે કલંકમુક્ત દેશપ્રેમી છે.
આ પણ વાંચો : નાગરિકત્વ સુધારા ખરડો હિન્દુઓની તરફેણ કરતો હોવા છતાં કેમ કરે છે વિરોધ
સત્ય પાંચ. વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ મળીને ઘ્ગ્ત્ના નવા ડિરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની પસંદગી કરી હતી. શુક્લા સોમવારે ચાર્જ સંભાળવાના હતા. એવી કઈ ઇમર્જન્સી હતી કે નવા ડિરેક્ટર ચાર્જ સંભાળે એ પહેલાં કલકત્તાના પોલીસ-કમિશનરને ત્યાં દરોડો પાડવો પડ્યો? ચોવીસ કલાક પણ રાહ જોઈ શકાય એમ નહોતું? ૫૭ મહિના વેડફી નાખ્યા તો ૨૪ કલાકમાં શું બગડી જવાનું હતું?
આ પાંચ તથ્યો ચકાસી જુઓ અને કોણ સાચું, કોણ ખોટુંનો અભિપ્રાય બનાવો.
CBI = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, BJP = ભારતીય જનતા પાર્ટી