તાલાલા-સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદ, વાહનવ્યવહાર ઠપ થયો
તાલાલા-સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદ
વાયુ વાવાઝોડાને પગલે વેરાવળ તલાલા હાઇવે નદીમાં ફેરવાતાં વાહનવ્યવહારને અસર થઈ રહી છે. ત્યાં ગોઠણ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. તંત્ર આ પાણીનો નિકાલ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. મહત્વનું છે કે વરસાદના આંકડા પ્રમાણે તાલાલામાં ૬ ઈંચ તથા સુત્રાપાડામાં ૬ ઈંચ અને વંથલીમાં ૩.૫ ઈંચ, મેંદરડામાં ૩ ઈંચ અને માળિયાહાટીનામાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગરના ઘોઘા પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે. ચેકડૅમ ભરાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોએ અનેક જગ્યાએ વાવણી કરવાનું પણ શરૂ કરી દીધું છે. તણસા, ભંડારિયા, રામપર, ગોરિયાળી, સાણોદર સહિતનાં ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ADVERTISEMENT
વાયુ વાવાઝોડાએ વેરાવળના દરિયાને તોફાની બનાવ્યો છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે, પરંતુ એની અસર વેરાવળના દરિયાકાંઠે જોવા મળી રહી છે. સવારે દરિયાનાં પાણી જલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોનાં ઘરમાં ઘૂસી આવ્યાં હતાં અને ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. આ વિસ્તારના લોકો જગ્યા છોડવા તૈયાર નહોતા, પરંતુ જેવું પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું કે લોકોએ આ વિસ્તાર ખાલી કરી દીધો છે. તેમ જ સુત્રાપાડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સમયાંતરે વરસાદનાં ઝાપટાં વરસી રહ્યાં છે.
રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ૧૦ મિનિટ ધોધમાર વરસાદ વરસતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.
ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પણ સાથે-સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે, જેની અસર રાજકોટ જિલ્લાના ગોંડલ તથા આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ગઈ કાલ દિવસ દરમિયાન હળવાં ઝાપટાં તેમ જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો : વાયુ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, કચ્છને ટકરાઇ શકે છે વાવાઝોડુ
બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. દીવમાં તમામ સિગ્નલ હટાવી લેવામાં આવ્યાં છે, જ્યારે વેરાવળમાં હજી ૯ નંબરનું સિગ્નલ હટાવી બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. કરોડોના ખર્ચે બનેલા સાઇક્લોન સેન્ટરમાં પાણી ઘૂસ્યું હતું. પાણીના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. ઊનાના ખજૂદરા ગામે આવેલું સાઇક્લોન સેન્ટર ખુદ પાણીમાં લોકોને બચાવવા માટે કરોડોના ખર્ચે બનાવાયું હતું.