રાજસ્થાનમાં બસમાં કરંટ લાગતાં દેરાસર જઈ રહેલા ૬ ભાવિક ભડથું, ૧૬ દાઝ્યા
બસમાં કરંટ લાગતાં દેરાસર જઈ રહેલા ૬ ભાવિક ભડથું, ૧૬ દાઝ્યા
રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ ૧૧ કેવી (૧૧,૦૦૦ વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતાં આ ગોઝારી ઘટના બની. બસમાં કરંટ આવવાથી બસમાં સવાર પેસેન્જરમાંથી કેટલાંય લોકોનાં મોત થયાં. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૬થી વધુ લોકો દાઝ્યા છે. તમામને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે, જેઓ બસમાં સવાર થઈને જૈન મંદિરના દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુર ગામમાં ભીષણ અકસ્માત થયો. પેસેન્જર્સ ભરેલી બે બસ રસ્તો ભટકી ગઈ અને એક ગામમાં પહોંચી ગઈ. ત્યાં રસ્તામાં વીજળીના તાર ઝૂલતા જોઈ ડ્રાઇવરે બસ રોકી દીધી.
બસનો કંડકટર તાર જોવા માટે ઉપર ચઢ્યો. કંડક્ટર ૧૧ કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી. બેમાંથી એક બસ આગમાં સળગી ગઈ. દુર્ઘટના ઝાલોર જિલ્લાથી ૭ કિ.મી. દૂર મહેશપુરા ગામમાં શનિવારે રાતે ૧૦.૪૫ વાગ્યે બની હતી.