મુંબઈમાં ત્રણ દિવસ બાદ વરસાદમાં રાહત મળી
પ્રતીકાત્મક તસવીર
બે દિવસ મુંબઈ તથા આસપાસના વિસ્તારોને ધમરોળ્યા બાદ ગઈ કાલે વરસાદનું જોર ઘટતાં મુંબઈગરાઓએ રાહત અનુભવી હતી. જોકે હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરી હોવાથી લોકોને તાત્પૂરતી મોટી રાહત નહીં મળે એવું લાગી રહ્યું છે.
હવામાન ખાતાના રિપોર્ટ મુજબ મુંબઈમાં બુધવારે ભારે અને ગુરુવારે મધ્યમ વરસાદ બાદ શુક્રવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના રિપોર્ટ મુજબ બુધ અને ગુરુવારે શહેરમાં પડેલા ભારે વરસાદને લીધે દક્ષિણ મુંબઈમાં અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. શુક્રવારે વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં સવાર સુધી વડાલાની બીપીટી કૉલોની, મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલ, મહર્ષિ કર્વે રોડ અને સક્કર પંચાયત વિસ્તારમાં પાણી ભરાયેલાં રહ્યાં હતા, જે બપોર બાદ ઓસર્યાં હતાં.
ADVERTISEMENT
દક્ષિણ મુંબઈની સ્થિતિ જોયા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રશાસનની તૈયારી બાબતે ચર્ચાવિચારણા કરી હતી અને અધિકારીઓને તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટેની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ અને આસપાસના વિસ્તારોને બે દિવસ સુધી ધમરોળ્યા બાદ ચોમાસું કોલ્હાપુર તરફ આગળ વધ્યું હતું. અહીંની પંચગંગા નદીમાં જોખમી સ્તરે પાણી પહોંચ્યું હતું. અહીં પણ મુંબઈ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતાને પગલે મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા સ્થાનિક અધિકારીઓને સાબદા રહેવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.