લૉકડાઉન બાદ વરસાદ : વેપારીઓ હવે ઊઠી જવાના
કિંગ્સ સર્કલની ગાંધી માર્કેટમાં દુકાનોની અંદર પાણી ઘૂસ્યાં
કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર કરાતાં મુંબઈ માયાનગરીના લોકો અને વેપારીઓ ભારે મુશ્કેલના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. આ વખતે ત્રીજી વખત સતત મુંબઈના દુકાનદારોની દુકાનો, ગોડાઉનમાં પાણી ઘૂસ્યાં છે. કિંગ્સ સર્કલમાં આવેલી ગાંધી માર્કેટમાં ૩૫ વર્ષ જૂની પારસ ડ્રેસીસ દુકાનમાં કામ કરતા પીયૂષ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન જાહેર થયું એ બાદ આ ત્રીજી વખત પાણી દુકાનોમાં ઘૂસ્યાં છે. માલ કચરામાં નાખવા જેવો થઈ જાય છે. ગાંધી માર્કેટે ગઈ કાલે તો તળાવનું સ્વરૂપ લીધું હતું અને આખી માર્કેટ બંધ જ હતી. રસ્તાઓ પર પાણી ભરાયાં હોવાથી વેપારીઓ દુકાન ખોલી શક્યા નહોતા, એથી આજે દુકાને જઈએ ત્યારે બધાને ખબર પડશે કે કેવી હાલત થઈ છે.’
બીએમસી કંઈ મદદ કરતી નથી...
દાદર-ઈસ્ટમાં હિન્દમાતા માર્કેટમાં છેલ્લાં ૫૦ વર્ષથી વસંત વસ્ત્રાલયની દુકાન ધરાવતા રાજેશ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસીના કમિશનર કહો કે પછી ધારાસભ્ય આદિત્ય ઠાકરે અહીં આવીને બધું જોઈ જાય, પરંતુ વેપારીઓની રાહત માટે એક પગલું પણ લેવાતું નથી. વેપારીઓને દુકાનો બંધ કરવાનો વખત આવ્યો છે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
ગોડાઉનનો બધો માલ ખરાબ
ચિંચપોકલી-ઈસ્ટમાં સ્ટેશનની બાજુમાં આટા, બેસન, પૌહા જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓનું આર.આર. ટ્રેડર્સ નામનું હોલસેલનું કામકાજ કરતા રાજેશભાઈ સોનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વખતના મુશળધાર વરસાદને કારણે સીમાની બહાર નુકસાન થયું છે. ગોડાઉન રસ્તા કરતાં અઢી ફુટ ઉપર હોવા છતાં ગોડાઉનની અંદર ચાર ફુટની આસપાસ પાણી ઘૂસી ગયું હોવાથી ખૂબ જ નુકસાન થયું છે. જીવનઆવશ્યક વસ્તુઓ હોવાથી માલ ભરીને રાખવો પડતો હોય છે. આ વસ્તુઓમાં જરા પણ પાણી લાગી જાય તો એ નકામી થઈ જતી હોય છે. કોરોનાને કારણે વેપારીઓ હેરાન થઈ ગયા અને હવે વરસાદે નુકસાન કરાવ્યું છે.’