પુલવામા હુમલાથી ફાયદો કોને, તપાસનું શું થયું?: રાહુલ
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯માં આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો જેમાં આશરે ૪૦ જેટલા જવાન શહીદ થયા હતા. ગઈ કાલે આ ઘટનાની પહેલી પુણ્યતિથિએ સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તસવીર : પી.ટી.આઇ
ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે ભારતના રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. સમગ્ર દેશે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમ્યાન કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને સવાલ પૂછ્યો છે કે આ હુમલાથી કોને ફાયદો થયો? જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે વધુ બે સવાલ પણ પૂછ્યા છે. રાહુલે ટ્વીટ કર્યું કે હુમલાની તપાસમાં શું પરિણામ સામે આવ્યું?
રાહુલ ગાંધીએ હુમલામાં અનેક સુરક્ષા-ચૂક પર પણ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યા છે. તેઓએ ટ્વીટ કર્યું કે હુમલો બીજેપીની સરકારના સમયે થયો હતો. સુરક્ષામાં અનેક ચૂક થઈ અને એ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા?
ADVERTISEMENT
ઇન્દિરા-રાજીવની હત્યાનો ફાયદો કોને થયો?ઃ કપિલ મિશ્રા
રાહુલ ગાંધીના ટ્વીટ પર બીજેપીના નેતા કપિલ મિશ્રાએ વળતો હુમલો કર્યો છે. કપિલ મિશ્રાએ લખ્યું કે ‘શરમ કરો રાહુલ ગાંધી. પૂછો છો કે પુલવામા હુમલાથી કોને ફાયદો થયો? જો દેશને પૂછવામાં આવ્યું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાથી કોને ફાયદો થયો, પછી શું બોલશો? આટલી નિમ્ન રાજનીતિ ન કરો, શરમ કરો.’
ભારત તેમની શહાદત ક્યારેય નહીં ભૂલે : નરેન્દ્ર મોદી
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ‘ગયા વર્ષે ભયાનક પુલવામા હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેઓ તમામ અસાધારણ લોકો હતા, જેઓએ આપણા રાષ્ટ્રની સેવા અને રક્ષા માટે જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.’
સીઆરપીએફ જવાનોએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સીઆરપીએફે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સીઆરપીએફે લખ્યું કે અમે ભૂલ્યા નથી અને અમે તેમને છોડ્યા નથી. હુમલામાં શહીદ થયેલા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ખભાથી ખભો મિલાવી ઊભા છીએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યા ત્રણ સવાલ...
૧. પુલવામા આતંકવાદી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો?
૨. પુલવામા આતંકવાદી હુમલાની તપાસનો નિષ્કર્ષ શું આવ્યો?
૩. સુરક્ષામાં ખામી માટે મોદી સરકાર કોને જવાબદાર માને છે?