સોમનાથના દર્શન બાદ રાહુલ કરશે ગુજરાતમાં પ્રચાર, બહેન પ્રિયંકા આપશે સાથ
રાહુલ અને પ્રિયંકા કરશે ગુજરાતમાં પ્રચાર
લોકસભા ચૂંટણીને લઈને પક્ષો હવે જોર-શોરથી તૈયારી કરી રહ્યા છે. પ્રચાર માટે એક અઠવાડિયા જેટલો જ સમય રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના પ્રચાર માટે ખુદ અધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા છે. સાથે જ તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આવશે. આ પ્રચારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાશે.
મંદિરમાં દર્શન કરી શરૂ કરશે પ્રચાર
રાહુલ ગાંધી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરી પ્રચાર કરશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અંબાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચાર કરશે. વિધાનસભા ચૂંટણી સમયે પણ રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. તેમણે રાજ્યના મોટાભાગના મંદિરોની મુલાકાત લીધી હતી.
આવો રહેશે કાર્યક્રમ
આવતીકાલ એટલે કે 15 એપ્રિલથી રાહુલ ગાંધી ગુજરાતમાં ધુઆંધાર પ્રચારની શરૂઆત કરશે. 15 એપ્રિલે રાહુલ ગાંધી અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં જાહેર સભા કરશે. 18 અને 20 એપ્રિલ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે. 18 એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સભા કરશે. જ્યારે 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે.
આ પણ વાંચોઃ નણંદ- ભોજાઈ સામ સામેઃ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા
ADVERTISEMENT
કોણ-કોણ કરશે ગુજરાતમાં પ્રચાર
ગુજરાતમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, શોટગન શત્રુઘ્ન સિન્હા, ઉર્મિલા માતોંડકર, અશોક ગેહલોત, રાજીવ સાતવ જેવા નેતાઓ પ્રચાર કરશે.