રાહુલ ગાંધીની જાહેરાત, દરેક ગરીબના ખાતામાં આવશે વર્ષે 72000 રૂપિયા
રાહુલ ગાંધી
લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે ચુંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા પ્રતિવર્ષ મળશે. રાહુલ ગાંધીએ આ જાહેરાત દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે 5 કરોડ પરિવાર અને લગભગ 25 કરોડ લોકો આ નિર્ણયના લાભાર્થિ રહેશે. બધી જ ગણતરી કરી લેવાઈ છે અને ગરીબીને જડમૂળથી દૂર કરી દેશું. તેમણે કહ્યું કે વિશ્વમાં ક્યાંય આવી યોજના નથી.
20% ગરીબ પરિવારોને આપશે 72 હજાર રૂપિયા : રાહુલ ગાંધી
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના 20 ટકા ગરીબ પરિવારોના ખાતામાં 72 હજાર રૂપિયા પ્રતિવર્ષ મોકલવામાં આવશે. જેને કારણે દેશમાં ગરીબી અને અમીરી વચ્ચેનો ભેદ ઘટાડી શકાય. તેમણે કહ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી દેશના અમીરોને દેવામાફી આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી પણ ગરીબોના ખાતામાં પૈસા નાખી શકે છે.
લોકો મને પુછે છે કે ન્યુનતમ વેતનની લિમિટ શું છે : રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગરીબોને ન્યાય આપવાનું કામ કરવા જઈ રહી છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને પૂછે છે કે ન્યુનતમ વેતનની લિમિટ શું હશે અને કેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે. કોંગ્રેસ ઈચ્છે છે કે લોકોની લઘુત્તમ આવક 12 હજાર રૂપિયા મહિને હોય અને એમ કરવા માટે ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવશે. દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળશે.
કોંગ્રેસ આ રીતે આપશે વાર્ષિક 72 હજાર રૂપિયા
જો કોઈ પરિવારની આવક મહિને 6 હજાર રૂપિયા છે અને કોંગ્રેસ સત્તા પર આવી તો તેને બીજા 6 હજાર રૂપિયા આપવામાં આવશે, જેનાથી તેમની લઘુત્તમ આવક 12 હજાર રૂપિયા થાય. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "જો કોઈની આવક 12 હજાર રૂપિયાથી ઓછી છે તો તે વ્યક્તિની આવક 12 હજાર સુધી અમે પહોંચાડીશું." રાહુલ ગાંધીએ તે પણ સ્પષ્ટ કર્યું કે શરૂઆતમાં આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે, પછીથી આખા દેશમાં ચલાવવામાં આવશે.
આ પણ વાંચો : નરેશ ગોયલે આપ્યુ જેટ એરવેઝના ચેરમેન પદ પરથી રાજીનામું
કેટલાય મહિનાઓથી થઈ રહ્યું છે આ યોજના પર કામ
રાહુલે કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી આ બાબતે છેલ્લા 4-5 મહિનાથી સ્ટડી કરે છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓની મદદથી આ આખા વિસ્તારનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ 'Fiscally Prudent Scheme' રહેશે. પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમ આ બાબતે કામ કરી રહ્યા છે."