'કુંભકરણ યોજના' પર ટ્રોલ થયા રાહુલ ગાંધી, ભાજપે કરી મજાક
રાજસ્થાનમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીની ફરી એક વાર જીભ લપસી. (ફાઈલ)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના નિવેદનને કારણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધી ઝૂંઝુંનુમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન તેમની જીભ લપસી અને તેમણે 'કુંભારામ લિફ્ટ પરિયોજના'ને ભૂલથી 'કુંભકરણ લિફ્ટ પરિયોજના' કહી દીધું. જો કે, તેમણે પોતાની ભૂલ તરત જ સુધારી લીધી. પણ તેમના નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી અને તેમની પાર્ટી બન્નેની ફજેતી થઈ રહી છે.
રાહુલ ગાંધી પોતાની રેલીમાં કુંભારામ પરિયોજના વિશે વાત કરી રહ્યા હતા. રાહુલે ઝૂંઝુંનૂમાં કહ્યું, "હું અહીં કેટલાક સ્થાનિક મુદ્દાઓ પર વાત કરવા માગું છું. અશોક ગેહલોતજીએ અહીં 'કુંભકરણ લિફ્ટ યોજના' શરૂ કરી." રાહુલ આટલું બોલ્યા ત્યાં જ મંચ પર બેઠેલા કોંગ્રેસી નેતાઓએ તેમને ટોક્યા, બાદમાં રાહુલે તરત જ પોતાની ભૂલ સુધારતાં કહ્યું, 'કુંભારામ લિફ્ટ યોજના'. ગેહલોતજીએણે પહેલા તબક્કામાં આ યોજના માટે 955 કરોડ રૂપિયા આપ્યા. ુલ 3,200 કરોડ રૂપિયા ઝૂંઝુંનૂ અને આસપાસના જિલ્લા માટે આપ્યા હતા. ભાજપે પાંચ વર્ષમાં કંઈ કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે કુંભારામ ચૌધરી રાજસ્થાનના સ્વતંત્રતા સેનાની, જાટ નેતા, સાંસદ અને લોકપ્રિય ખેડૂત નેતા હતા. રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે તે વિરોધીઓનો ટાર્ગેટ બન્યા. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે રાહુલની ભૂલને લઈ આકરા પ્રહાર કર્યા. પિયુષ ગોયલે નિશાન સાધતા કહ્યું, 'કુંભકર્ણ લિફ્ટ યોજના? કુંભકર્ણ તો તોયે 6 મહિના ઉંઘતો હતો, કોંગ્રેસ 60 વર્ષ સુધી સુઈ રહી અને દેશનો વિકાસ વર્ષો સુધી અટકાવી રાખ્યો.'
'BHEL'ને જાહેર કરી મોબાઈલ નિર્માતા કંપની
આ પહેલી વાર નથી થયું, જ્યારે રાહુલ ગાંધીની જીભ લપસી હોય, આ પહેલા પણ કેટલીય વાર તે પોતાના નિવેદનો માટે ટ્રોલ થઈ ચૂક્યા છે. છત્તીસગઢમાં એક રેલી દરમિયાન તેમણે BHELને મોબાઈલ બનાવતી કંપની કહી. તેમણે કહ્યું કે મોબાઈલ તેમણે BHEL પાસેથી કેમ ન ખરીદ્યો? રાહુલ ગાંધીએ BHELનું બે-ત્રણ વાર પુનરાવર્તન પણ કર્યું હતું અને આગળ કહ્યું, 'વાત સમજો, ત્યાં (દિલ્હીમાં) રાફેલ કૌભાંડ અને અહીં (છત્તીસગઢમાં) મોબાઈલ કૌભાંડ'. ઉલ્લેખનીય છે કે કે BHEL એટલે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ મોબાઈલ નથી બનાવતી.
પીએમ મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ પોતાની રેલી દરમિયાન પ્રધાનમંત્રી મોદીને પણ આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, 'પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં ભારત માતાની જય બોલાવે છે, પણ કામ અનિલ અંબાણીનું કરે છે. જો કે મોદીએ અનિલ અંબાણી, નિરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી અને મેહુલ ચોકસીની જય બોલાવવી જોઈએ. મોદી 15 ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. ખેડૂતો, માતાઓ અને બહેનોની જય બોલાવવી એ જ ભારત માતાની જય છે.'