દીપિકા JNU ગઈ એ મુદ્દે રઘુરામ રાજન બોલ્યા:ઍક્ટ્રેસે લોકોને પ્રેરણા આપી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ડાબેરી વિદ્યાર્થી નેતા કન્હૈયા તથા નાગરિકતા કાયદાના વિરોધીઓને મળવા ગયેલી અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’નાં પોસ્ટર્સ દિલ્હીમાં બીજેપીના કાર્યકરોએ ફાડ્યાં હતાં. (તસવીર : પી.ટી.આઇ.)
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે થયેલી હિંસાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળના નેતા આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરી રહ્યા છે. કેટલાક બૉલીવુડ સેલેબસે પણ પીડિત વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. બૉલીવુડ ઍક્ટર દીપિકા પાદુકોણે પણ પીડિત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી જેને કારણે દીપિકા બીજેપીના નેતાઓના નિશાના પર આવી ગઈ છે. હવે આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને દીપિકાનું સમર્થન કર્યું છે.
રઘુરામ રાજને પોતાના બ્લૉગમાં દીપિકાનું નામ લખ્યા વગર જણાવ્યું કે જ્યારે એક ઍક્ટ્રેસ પોતાની ફિલ્મ જોખમમાં નાખીને જેએનયુ પીડિતા સાથે મુલાકાત કરીને વિરોધ નોંધાવે છે તો તે અમને આ જ કારણથી પ્રેરિત કરે છે કે દાવ પર શું લાગ્યું છે. તેણે બતાવ્યું કે સત્ય અને ન્યાય માત્ર મોટા શબ્દો જ નહીં, પરંતુ એવા આદર્શ છે જેને માટે કુરબાની આપી શકાય.