દગડૂશેઠ ગણપતિ: મહામારીને કારણે 127 વર્ષ જૂની પરંપરામાં ફેરફાર કરાયો
‘શ્રીમંત દગડૂશેઠ ગણપતિ’
અહીંના જગવિખ્યાત દગડૂશેઠ ગણપતિનું સંચાલન કરતા હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટે કોરોના વાઇરસ મહામારીને કારણે કોટવાલ ચાવડીમાં પંડાલ ઊભો ન કરતાં મંદિરના સંકુલમાં ગણેશની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. આમ ગણપતિ મહોત્સવની મંદિરની ૧૨૭ વર્ષ જૂની પરંપરામાં પ્રથમ વખત ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટી મહેશ સૂર્યવંશીએ જણાવ્યું હતું.
દર વર્ષે ‘શ્રીમંત દગડૂશેઠ ગણપતિ’ના પંડાલમાં પુણે, આસપાસ તેમ જ મહારાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર વર્ષે ગણપતિબાપ્પાનાં દર્શન માટે આવતા હોય છે. જોકે આ વર્ષે કોરોના વાઇરસને કારણે મહારાષ્ટ્રમાં વર્ષોથી ચાલી આવતા સાર્વજનિક ગણેશોત્સવને ગંભીર અસર પહોંચવાની શક્યતા હોવાથી એમાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ટ્રસ્ટી મહેશ સૂર્યવંશીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મંદિરમાં ભીડ અટકાવવા માટે અમે ભગવાનનાં માત્ર ઑનલાઇન દર્શનની જ અનુમતિ આપી રહ્યા છીએ. કોઈ પણ ભક્તને મંદિરની અંદર પ્રવેશ અપાશે નહીં. લૉકડાઉનના નિયમ અને લોકોને જીવલેણ વાઇરસથી બચાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમ બનાવાયા છે એને અનુરૂપ જ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.’