ઘર પાસે એકઠા થયેલા કચરાનો વિરોધ કરવા ભાઈએ ગાર્બેજ પર જ ખાવાનું બનાવ્યું
ગાર્બેજ પર ખાવાનું બનાવતા ભાઈ
પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં એકઠા થયેલા કચરાના ઢગલા તેમ જ એમાં વધુ કચરો ઠાલવી જતા લોકોની બેદરકારી અને મહાનગરપાલિકાનાં ઠાલાં આશ્વાસનો સામે વિરોધ નોંધાવવા લખનઉના ૩૨ વર્ષના આશુતોષ સિંહે એક નવો માર્ગ અપનાવ્યો છે. તેણે પોતાના ઘરના કચરાના ઢગલા પાસે બાર્બેક્યુ ઊભું કર્યું છે, જેને માટે કોલસાના સ્થાને બળતણ તરીકે તે આ કચરાનો ઉપયોગ કરે છે. આ ઢગલા પર તેણે ચા અને પનીર સૅલડ તૈયાર કર્યું અને ત્રણ કલાક સુધી એ જ કચરા પર રાંધ્યું હતું. ઇન્દિરા નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ભાઈએ તૈયાર કરેલું ભોજન આસપાસ તમાશો જોઈ રહેલા લોકોને સર્વ પણ કર્યું. સોશ્યલ મીડિયા પર આ ફોટો વાઇરલ થયો હતો.
આ વિસ્તારમાં કચરાની ગાડી અનિયમિત આવે છે, જેને કારણે લોકો રસ્તાની કિનારે કચરો ફેંકતા રહે છે એમ જણાવતાં આશુતોષ સિંહનું કહેવું હતું કે મારે દરરોજ સવારે કચરાનો ઢગલો જોવા અને એની વાસ લેવાની ફરજ પડે છે. સ્થાનિક અધિકારીઓને વારંવાર કરેલી ફરિયાદ બહેરા કાને અથડાઈને પાછી ફરે છે.
ADVERTISEMENT
જોકે આસુતોષ સિંહનો આ કીમિયો કામ કરી ગયો છે. ફોટો વાઇરલ થતાં જ અધિકારીઓએ તરત કામે લાગી જઈને કચરાનો જલદીથી નિકાલ કરવાની ખાતરી આપી છે.