CAAવિરુદ્ધ પ્રદર્શનમાં મૃત્યુ પામનારના પરિવારની પ્રિયંકાએ મુલાકાત લીધી
સહાનુભૂતિ : મેરઠમાં નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શનમાં માર્યા ગયેલા સ્થાનિક રહેવાસીના પરિવારને ગઈ કાલે કૉન્ગ્રેસનાં પૂર્વીય ઉત્તર પ્રદેશનો અખત્યાર સંભાળતાં મહાસચિવ પ્રિયંકા ગાંધી મળ્યાં હતાં. (તસવીર : પીટીઆઇ)
કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાએ મૌલાના અસદ હુસૈની સાથે પણ મુલાકાત કરી હતી. મૌલાના અસદ હુસૈનીને પોલીસે નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે સગીરો સહિત મદરેસાના વિદ્યાર્થીઓની કારણ વગર અટકાયત કરી હતી જેમાંના કેટલાકને છોડી મુકાયા છે તો કેટલાક હજી પણ જેલમાં છે.
કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શનિવારે મુઝફ્ફરનગર પહોંચ્યાં હતાં, જ્યાં તેણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન મૃત્યુ પામનાર નૂરના પરિવારને પણ મળી હતી. આ દરમ્યાન મૌલાના અસદના ઘરે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. પ્રિયંકા ગાંધી સાથે કૉન્ગ્રેસના નેતા ઇમરાન મસૂદ અને પંકજ મલિક પણ હાજર રહ્યા હતા.