પાળેલાં પ્રાણીઓને દિલ્હીથી મુંબઈ લાવવા માટે પ્રાઇવેટ જેટ ભાડે કરાશે
માલિકોથી વિખૂટાં પડી ગયેલાં પાળેલાં પ્રાણીઓને દિલ્હીથી મુંબઈ લાવવા પ્રાઇવેટ જેટનો સહારો લેવામાં આવ્યો છે.
કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનમાં વાઇરસના પ્રસારને રોકવા માટે પ્રવાસ પરના પ્રતિબંધને કારણે દિલ્હીમાં અટવાયેલા લોકો તેમ જ પોતાના માલિકોથી વિખૂટાં પડી ગયેલાં પાળેલાં પ્રાણીઓને દિલ્હીથી મુંબઈ લાવવા પ્રાઇવેટ જેટનો સહારો લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિક અને સાઇબર સિક્યૉરિટી રિસર્ચર દીપિકા સિંહે આ પાળતુ પ્રાણીઓને તેમના માલિકો સાથે મેળવવાનું બીડું ઝડપ્યું છે.
દીપિકા સિંહ તેનાં સગાંસંબંધીઓને દિલ્હીથી મુંબઈ લાવી રહી હતી એ સમયે પાળેલાં પ્રાણીઓ સાથે પ્રવાસ કરવાની તેઓમાંના કેટલાકની નામરજીને પગલે અને લૉકડાઉનને કારણે માલિકોથી વિખૂટાં પડેલાં ડૉગી, પક્ષીઓ અને અન્ય પાળેલાં પ્રાણીઓ માટે વિશેષ ફ્લાઇટ ઉડાડવાનો વિચાર આવતાં તેણે એક્રેશન એવિયેશન સાથે ૯.૦૬ લાખ રૂપિયાના ખર્ચે એક સિક્સસીટર જેટનું બુકિંગ કરી પાળેલાં પ્રાણીઓને પ્લેનમાં રવાના કરવા એક ખાનગી કંપનીનો સંપર્ક કર્યો. અત્યાર સુધીમાં ચાર પરિવારો પોતાનાં પાળતુ પ્રાણીઓને મુંબઈ લાવવા સહમત થયા છે. એક્રેશન એવિયેશનના માલિક રાહુલ મુછ્છલે જણાવ્યું હતું કે પાળેલાં પ્રાણીઓ અને તેમના હૅન્ડલર્સને લાવતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.