Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: 9 વર્ષની બે છોકરીઓએ રચ્યું પોતાના કિડનૅપિંગનું નાટક

મુંબઈ: 9 વર્ષની બે છોકરીઓએ રચ્યું પોતાના કિડનૅપિંગનું નાટક

28 June, 2019 08:47 AM IST | મુંબઈ
પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: 9 વર્ષની બે છોકરીઓએ રચ્યું પોતાના કિડનૅપિંગનું નાટક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાઈંદર-ઈસ્ટમાં આવેલી અભિનવ વિદ્યા મંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી ૯ વર્ષની બે વિદ્યાર્થિનીઓનું સ્કૂલના ગેટ પરથી મંગળવારે સાંજે અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત ખરેખર તો આ બન્ને છોકરીઓએ રચેલું નાટક જ હતું એવું ધ્યાનમાં આવતાં ખુદ પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી. જોકે સાંજે બન્ને છોકરીઓ અંધેરી રેલવે-સ્ટેશન પરથી પોલીસને મળી હતી. અંધેરી રેલવે પોલીસે ભાઈંદરના નવઘર પોલીસને કેસ સોંપ્યો હતો. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને એ અપહરણનો બનાવ ન હોવાની આઘાતજનક વાત સામે આવી હતી.

ભાઈંદર-ઈસ્ટમાં આવેલી અભિનવ વિદ્યા મંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી સ્નેહા અને નેહા (બન્નેનાં નામ બદલ્યાં છે) મંગળવારે સાંજે સ્કૂલ છૂટ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. મોડી સાંજે ૭ વાગ્યે તેમને અંધેરી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-૬ પર સ્કૂલ-યુનિફૉર્મમાં પોલીસે જોઈ હોવાથી તેમને તાબામાં લીધી હતી. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે ‘અમે ભાઈંદરમાં રહીએ છીએ અને સ્કૂલ છૂટ્યા બાદ ગેટ પાસે આવતાં બે અજાણી વ્યક્તિએ ‘તમારી મમ્મીએ મોકલાવ્યા’ હોવાનું કહ્યું હતું. એવું કહીને તેઓ અમને તેમની સાથે લઈને રિક્ષામાં બેઠા હતા અને એ રિક્ષા ભાઈંદર રેલવે-સ્ટેશન આવી હતી. તેમણે અમને બે ટિકિટ આપીને મહિલા કોચમાં બેસવાનું કહ્યું હતું. અંધેરી સ્ટેશને ઊતરજો કહીને તેઓ જતા રહ્યા હતા.’



પોલીસને તેમના બોલવા પરથી અપહરણ થયું હોવાનું લાગ્યું એટલે તેમણે વિદ્યાર્થિનીઓના પેરન્ટ્સને ફોન કરીને બોલાવીને તેમને સોંપી દીધી હતી તથા વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરીને ભાઈંદરના નવઘર પોલીસને કેસ સોંપી દીધો હતો.


ભાઈંદરના નવઘર પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. એ અનુસાર સ્કૂલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને ભાઈંદર તથા અંધેરી રેલવે-સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસવાની શરૂઆત કરી હતી, જેમાં જણાયું હતું કે બન્ને છોકરીઓ સાથે કોઈ વ્યક્તિ નહોતી. ત્યાર બાદ સ્કૂલનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં ત્યારે સૌથી મોટો આંચકો લાગ્યો હતો. એ ફુટેજ મુજબ સાંજે ૫.૨૦ વાગ્યે સ્કૂલ છૂટી ત્યારે સ્નેહા અને નેહા બન્ને ગેટ પાસે આવી હતી. હંમેશની માફક સ્નેહાના પપ્પા તેને લેવા માટે ગેટ પાસે તેની રાહ જોતા ઊભા રહે છે. સ્નેહા તેમની નજર ચૂકવીને ગિરદીમાં ભળીને ચાલી જતી હોવાનું દેખાય છે. ત્યાર બાદ તેના પેરન્ટ્સે તેમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી ત્યારે બન્નેએ કહ્યું કે અમે બન્ને રિક્ષામાં ભાઈંદર રેલવે-સ્ટેશન જઈને ત્યાંથી ટિકિટ કઢાવી અંધેરી ફરવા ગયાં હતાં. આમ અપહરણના નાટક પરથી પડદો ઊઠ્યો હતો.

આ પણ વાંચો : રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય


અભિનવ સ્કૂલના કાર્યાધ્યક્ષ મોહન પાટીલે કહ્યું કે ‘સ્કૂલ છૂટ્યા બાદ પ્રિન્સિપાલ અને સુરક્ષારક્ષક તેમની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને તેમના પેરન્ટ્સને સોંપે છે. એક જ સમયે ઘણા વિદ્યાર્થીઓ બહાર આવતા હોવાથી ભીડમાં થોડી સમસ્યા સર્જાય છે. આ બન્ને વિદ્યાર્થિનીઓ પેરન્ટ્સની નજર ચૂકવીને ચાલી ગઈ હતી. આમાં સ્કૂલની કોઈ લાપરવાહી કે ભૂલ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2019 08:47 AM IST | મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK