પૃથ્વીરાજનો સવાલ ICMR કોરોનાની વૅક્સિન ૧૫ ઑગસ્ટ સુધી કઈ રીતે શોધશે?
કૉન્ગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવાણે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ૧૫ ઑગસ્ટ સુધીમાં કોરોના વાઇરસની રસી લૉન્ચ કરવાની આઇસીએમઆરની યોજના પાછળનો હેતુ વડા પ્રધાન લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી શકે એવો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જણાવ્યું હતું કે એ ૧૫ ઑગસ્ટ સુધીમાં વિશ્વની પ્રથમ કોવિડ-19 સામેની રસી લૉન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
જ્યારે વૈશ્વિક નિષ્ણાતો ૧૨થી ૧૮ મહિનાની સમયમર્યાદા જણાવી રહ્યા છે ત્યારે આઇસીએમઆર શા માટે ભારતીય કોરોના (વાઇરસ) વૅક્સિન માટે ૧૫ ઑગસ્ટની બિનવાસ્તવવાદી સમયમર્યાદા જણાવવાની ઉતાવળ કરી રહ્યું છે?
કૉન્ગ્રેસી નેતાએ આક્ષેપ કર્યો હતો કે આઇસીએમઆર એટલા માટે રસી વિકસાવવાની ઉતાવળ કરી રહ્યું છે જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિનના સંબોધનમાં લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી શકે. ચવાણે આ મામલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્પષ્ટતા કરે એવી માગણી કરી છે.