વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ જૂને મન કી બાત કરશે
(ફાઇલ ફોટો)
દેશ કોરોના વાઇરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાઇરસને રોકવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું, પણ હજી કોરોના વાઇરસ રોકાવાનું નામ નથી લેતો. જૂન મહિનાની શરૂઆતથી જ કોરોના વાઇરસ રેકૉર્ડ તોડી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ જૂને ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કરશે.
રવિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું કે આ મહિને ‘મન કી બાત’ ૨૮ જૂને થશે, પણ આ ટ્વીટ સાથે તેમણે દેશના નાગરિકોને એક અપીલ પણ ક છેરી. નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને પોતાના અભિપ્રાય આપવાનું આવાહન કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે આ મહિને ‘મન કી બાત’ ૨૮મી તારીખે થશે. જોકે હવે તો બે જ સપ્તાહ બાકી છે છતાં તમે બધા પોતપોતાના અભિપ્રાય આપો અને વિચારો કહો જેથી વધુમાં વધુ જાણકારી સામે આવશે. મને ખબર છે કે તમારા બધા પાસે કોરોના વાઇરસ સામે જંગ અને અન્ય વિષયો પર કહેવા માટે ઘણું બધું છે.
અન્ય એક ટ્વીટમાં મોદીએ કહ્યું કે તમારા વિચારો જ મન કી બાત કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે. તમે બધાએ એમાં ૧૩૦ કરોડ નાગરિકોની શક્તિ બતાવી છે. કોરોના વાઇરસ સામે જંગ લડી રહેલા ભારતીયો માટે ૧૮૦૦-૧૧-૭૮૦૦ નંબર પર પોતાનો મેસેજ રેકૉર્ડ કરીને આપી શકે છે અથવા તો નમો ઍપના માધ્યમથી પણ પીએમ મોદીને સંદેશ આપી શકાય છે.