સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનો રાષ્ટ્રજોગ સંદેશ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (તસવીર સૌજન્ય: ટ્વીટર)
74માં સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સામેલ રહેશે અને આત્મનિર્ભર પણ બનશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતની આત્મ નિર્ભરતાનો અર્થ પોતે સક્ષમ થવું તેવો છે. વિશ્વથી અંતર બનાવવાનો નથી. એટલે કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સામેલ પણ રહેશે અને આત્મ નિર્ભર પણ બનશે. મારું માનવું છે કે કોવિડ સામેની લડાઈમાં જીવનનું રક્ષણ કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય રેલવેએ પડકારજનક સમયમાં લોકોના પરિવહનને શક્ય બનાવ્યુ છે. આપણે આપણી શક્તિથી અન્ય દેશો તરફ મદદનો હાથ લંબાવ્યો છે. આપણી પાસે ખાસ કરીને બૌદ્ધિક, આધ્યાત્મિક અને વિશ્વ-શાંતિના ક્ષેત્રમાં વૈશ્વિક સમુદાયને આપવા માટે ઘણુ બધુ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ કોરોના વાયરસ (COVID-19)ની મહામારી વચ્ચે થઈ રહ્યો છે. ગત મહિને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવાયુ હતું કે, સરકાર આ વર્ષ સ્વતંત્રતા દિવસ સમારોહમાં સંખ્યા એકઠી ન થવા પર વિચાર કરી રહી છે. જેના માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. જે લોકો કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે તેઓ વૅબ કાસ્ટ દ્વારા કાર્યક્રમમાં જોડાઈ શકશે.