વિપક્ષના વિરોધ છતા રાષ્ટ્રપતિના કૃષિ ખરડાઓ પર હસ્તાક્ષર
ફાઈલ તસવીર
વિપક્ષ, ખેડૂતો અને એડીએના સહયોગી દળ અકાલી દળના ભારે વિરોધ થયો હતો. તેમ છતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં પસાર થયેલા ત્રણ મહત્વના કૃષિ ખરડાઓ પર હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ હવે આ ખરડાઓ કાયદો બની ગયા છે.
કૃષિ ખરડાને લોકસભામાં અને તે પછી રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા હતા. લોકસભામાં કૃષિ ખરડો પસાર થયા બાદ એનડીએના જ સહયોગી દળ સીરોમણી અકાલી દળના નેતા અને કેબિનેટ પ્રધાન હરસમિરત કૌર બાદલે કૃષિ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
ADVERTISEMENT
20 સપ્ટેમ્બરના રાજ્યસભામાં કૃષિ ખરડાઓ પસાર કરવાના મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. 18 વિપક્ષ દળોએ બિલને પાસ કરવાના સરકારના ગેરબંધારણિય વલણને વખોડતા લોકશાહીની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. આ બિલોથી ખેડૂતોના હિતોને નુકસાન થઈ શકે છે તેવું વિપક્ષે રટણ કર્યું હતું. બીજીતરફ કેન્દ્ર સરકારે કૃષિ બિલોથી ખેડૂતો અદ્યતન ટેક્નોલોજીની મદદથી વધુ કમાણી કરી શકશે તેવો દાવો કર્યો છે. આ બિલોમાં લઘુત્તમ ટેકાના ભાવને લઈને સરકારે જણાવ્યું છે કે એમએસપી વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.
સંસદના ચોમાસુ સત્રમાં ગત સપ્તાહે રાજ્યસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલો પસાર કરવામાં આવ્યા હતા. વિપક્ષે આ મુદ્દે ભારે વિરોધ કર્યો હતો અને આ બિલો ખેડૂતોના ડેથ વોરન્ટ સમાન તેમજ કાળો કાયદો હોવાનું ગણાવ્યું હતું. આ બિલોના વિરોધમાં પંજાબ સિહત દેશભરમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. પંજાબમાં રેલ રોકો આંદોલનને પગલે ત્રણ દિવસથી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વિપક્ષ દળોએ એકથઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને આ બિલો પર હસ્તાક્ષર નહીં કરવા પણ અપીલ કરી હતી.