પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને વિનામૂલ્ય કોરોના રસી આપવાની તૈયારી
મમતા બૅનરજી (ફાઈલ તસવીર)
પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને વિનામૂલ્ય કોરોના વૅક્સિન આપવાની તૈયારી ચાલતી હોવાનું રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું. રાજ્યની જનતાને લખેલા ખુલ્લા પત્રમાં મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘વૅક્સિનેશન પ્રોગ્રામમાં ડૉક્ટરો અને નર્સિસ સહિતના હેલ્થ સેક્ટરના કર્મચારીઓ, પોલીસ, હોમ ગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર્સ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગોના કર્મચારીઓ, સુધાર ગૃહોના કર્મચારીઓ વગેરે કોવિડ વૉરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે.’
દેશના ત્રણ કરોડ હેલ્થકૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાધાન્ય સાથે કેન્દ્ર સરકાર ૧૬ જાન્યુઆરીથી કોરોના વૅક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરશે. કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને પણ આવી રીતે રાજ્યના તમામ નાગરિકોને કોરોના પ્રતિકારક રસી વિનામૂલ્ય આપવાની જાહેરાત કરી હતી. બન્ને રાજ્યોમાં આવતા વર્ષના એપ્રિલ-મે મહિનાની આસપાસ વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગયા ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના જાહેરનામામાં બીજેપીએ બધા નાગરિકોને વિનામૂલ્ય કોરોના વૅક્સિન આપવાનું વચન આપ્યું હતું. એ વચનના અનુસંધાનમાં બિહારના પ્રધાનમંડળે રાજ્યના તમામ નાગરિકોને કોરોના રસી મફતમાં આપવાની દરખાસ્તને બહાલી આપી હતી.